Mysamachar.in-જામનગર:
જામનગરમાં ઝોનફેર મામલો હિન્દી ફિલ્મોનાં કોઈ ભૂતબંગલા જેવો રહસ્યમય દેખાઈ રહ્યો છે ! ભૂતકાળમાં પણ કોઈએ ઝોનફેર નામની આગ જાણી જોઈને સળગાવી હતી, અને ફરી વખત કોઈ અદ્રશ્ય ‘ હાથ ‘ આ ખબર પ્લાન્ટ તો નથી કરાવી રહ્યું ને ?! એવી ચર્ચાઓ જાણકારોમાં શરૂ થઈ છે !
સૌ જાણે છે એમ, મહિનાઓ પહેલાં જામનગરમાં ઝોનફેર ગાજેલું ત્યારે પણ સૌ સંબંધિતો સલામત રહ્યા હતાં ! મામલો રૂ. 200 કરોડનો હોવાનું ચર્ચાતું હતું છતાંય ! તેનો એક અર્થ એવો પણ થાય કે, આ મામલામાં કોઈ શક્તિશાળી બિલ્ડર લોબી ધાર્યું કરાવવામાં સફળ રહી છે ! અને, અનેક પ્રકારની વારતાઓ વચ્ચે, ગાંધીનગરથી આ ખેલ પડી ગયો, સૌ સંબંધિતોને જામનગરમાં અંધારામાં રાખવામાં આવ્યા, કેટલાંક સંબંધિતોને થોડો સમય મૌન જાળવવા ગાંધીનગરથી સૂચનાઓ આપવામાં આવી હોય, એવું પણ બને ! અને, વાંધા અરજીઓ માટેની અંતિમ તારીખોએ એવું જાહેર કરવું કે, અમે અમારૂં ધાર્યું કરી લીધું છે, તમારાથી થાય તે કરી લ્યો ! એવો સંકેત લાગતા વળગતા સુધી પહોંચાડવા જ, ભૂતકાળમાં અને હાલમાં, કોઈ અદ્રશ્ય હાથ ‘ ખબર ‘ પ્લાન્ટ કરાવી રહ્યો છે. વાસ્તવિકતામાં કોઈને ફાંસીએ લટકાવવામાં આવશે નહીં ! અને, સમયાંતરે બધાં, બધું ભૂલી જશે. કેમ કે, કોઈને રાજય સરકારનાં નિર્ણય પ્રત્યે વાંધો જ નથી !
“જાડા” કચેરીનાં ટાઉન પ્લાનર શું કહે છે ?
જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ-જાડા- નાં ટાઉન પ્લાનિંગ ઑફિસર દીપક નિમાવત કહે છે: “ઝોનફેરનાં નિર્ણય વિરુદ્ધ માત્ર એક જ વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો છે. બે જાહેરનામાઓ વિરુદ્ધ માત્ર એક જ અરજી આવી છે. અને આ અરજી પણ એવી છે જે વાંધા અરજી ગાંધીનગર મોકલવામાં આવી છે તેની નકલ જામનગર કચેરીને આપવામાં આવી છે. વાંધાસૂચનોનો નિકાલ કરવાની સત્તા ગાંધીનગર કચેરીને એટલે કે રાજ્ય સરકારને હોય, જેઓને વાંધો હશે તેઓએ ત્યાં અરજી કરી હશે. જે અંગે અમો કશું જાણતા નથી.”