Mysamachar.in:જામનગર
ભારે વરસાદના દિવસો પછી વાડી ખેતરોમાં પાણી ઓસરતાં ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત છે, એવાં સમયે જામનગર શહેર જિલ્લામાં ખેતી માટે અતિ આવશ્યક એવા ખાતરની અછતની બૂમરાણ ઉઠી છે ! જેને કારણે હજારો ખેડૂતો ભારે પરેશાન છે. શહેરમાં સતત બીજા દિવસે ખાતરની રાડ પડી છે. ખેડૂતોમાં રોષ તથા નારાજગીની લાગણી જોવા મળી રહી છે.
જામનગરમાં કાલે સોમવારે પણ ખાતરની અછતની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ આજે મંગળવારે પણ ખેડૂતો ખાતર માટે તલસી રહ્યા છે. જેને પગલે ભારે હોબાળો મચી ગયો છે. શહેરનાં રણજિતસાગર રોડ પર ખેડૂતોનાં ટોળાં ખાતર ડેપો આસપાસ તીડની માફક ઉતરી પડ્યા છે. વરસાદી વિરામને કારણે વરાપ નીકળ્યો હોય, ખેડૂતો પોતાના વાડીખેતરોમાં પાકોને યુરિયા ખાતર આપવા કામ કરી રહ્યા છે. પાકોને બચાવવા મહેનત કરી રહ્યા છે. બરાબર એ જ સમયે ખાતરની અછતની સ્થિતિને લઈને ખેડૂતોમાં ભારે ઉચાટ અને તીવ્ર નારાજગી જોવા મળી રહી છે.
જામનગર નજીકના દડિયા ગામનાં ખેડૂત રવિભાઈ કહે છે : ત્રણ ત્રણ દિવસથી ખાતર માટે ખેડૂતો રોજ સવારે પાંચ વાગ્યાથી રઘવાયા માફક દોડધામ કરી રહ્યા છે, છતાં એક થેલી ખાતર પણ મળતું નથી. ખાતરની ગાડીનો બારોબાર વહીવટ થતો હોવાની પણ આશંકા છે. રણજિતસાગર રોડ પર આવેલા કિસાન સુવિધા કેન્દ્ર પર એક ગાડી ખાતર આવે છે. 400 થેલી ખાતર આવે છે. સામે ખાતર મેળવવા લાઈનમાં 400 ખેડૂતો ઉભા હોય છે. આ સ્થિતિમાં ખેડૂતોને ખાતર કેવી રીતે મળે ? ખેડૂતોને પાકમાં નાંખવા ટાણે સહેલાઈથી ખાતર ન મળે તો શું કામનું ?! સરકાર કહે છે : પૂરતું ખાતર છે. તો પછી ખેડૂતોની આ કેન્દ્ર પર આટલી લાંબી લાઈનો શા માટે લાગી રહી છે ?! જામનગરનાં ધારાસભ્ય રાજ્યનાં કૃષિમંત્રી હોવા છતાં જામનગરમાં આ સ્થિતિ શા માટે ?! સરકારી ડેપોમાં ખાતર શા માટે નથી મળતું ?!
રઘુભાઈ નામનાં અન્ય એક ખેડૂત કહે છે : છેલ્લાં 10-15 દિવસથી અમો સેંકડો ખેડૂતો ખાતર માટે પરેશાન છીએ. છતાં ખેડૂતને ખાતરની એક બાચકી મળતી નથી ! કેન્દ્ર પર ખાતરની ગાડી આવે છે પરંતુ ખેડૂતનો વારો આવે ત્યાં સુધીમાં ગાડીમાં ખાતર ખાલી થઈ જતું હોય છે. ખેડૂતોને ખાતર મળતું નથી. સરકારે ખાતરનો પૂરતો જથ્થો આપવો જોઈએ. બધાં જિલ્લાઓમાં ખાતર મળે છે, જામનગરમાં ખાતરની અછતની સ્થિતિ શા માટે ?!
મહેશભાઈ નકુમ નામનાં એક ખેડૂત કહે છે : ખાતર ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં આપવામાં આવતું નથી. ખેડૂતોએ ખાતરની ગાડીને રોડ પર રોકવી પડે છે. અંદાજે 300-400 ખેડૂતો ખાતર વિના પરેશાન છે.
શહેરનાં રણજિતસાગર રોડ પર જીએટીએલ કંપનીનું કિસાન સુવિધા કેન્દ્ર ચલાવતાં સંદિપ વામજા કહે છે : શુક્રવારે, શનિવારે તથા સોમવારે ખાતરની એક એક ટ્રક આવી હતી. આજે મંગળવારે ખાતરના બે ટ્રક આવ્યા છે. જેમાં 50 ટન ખાતર છે. આજે ખાતરની કુલ 1,112 બેગ આવી છે. આશરે 300 ખેડૂતો પૈકી દરેક ખેડૂતને 4-4 થેલી ખાતર વિતરણ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તકે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તેઓ કહે છે : ખાતરનો ટ્રક બારોબાર જતો ન હતો. ખેડૂતોની બીકે ખાતરની ગાડીનાં ચાલકે ટ્રકને થોડે દૂર લઈ જવા પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવર ભાગી ગયો નથી.
અત્રે નોંધનીય છે કે, જામનગર કૃષિમંત્રીનો જિલ્લો હોવા છતાં શહેર અને જિલ્લામાં ખાતરની જે રાડ પડી રહી છે, તેને કારણે સમગ્ર રાજ્યમાં ભારે બૂમરાણ સાંભળવા મળી રહી છે. હાલમાં ખેડૂતોને જરૂરિયાતની સામે એકદમ મર્યાદિત પ્રમાણમાં એટલે કે, ખાતરની માત્ર 3-4 બેગ મળી રહી હોય ખેડૂતોમાં નારાજગી તથા આક્રોશ છે. અત્રે એ પણ નોંધનીય છે કે, ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે છતાં પણ તેઓને જરૂરિયાત જેટલું ખાતર મળતું નથી. આથી ખેડૂતો ચિંતામાં છે અને નારાજ પણ છે.