Mysamachar.in-જામનગર:
ઈશ્વર પ્રત્યેક જીવને જિંદગીની અણમોલ ભેટ આપે છે, પરંતુ કરૂણતા એ હોય છે કે – ઘણાં લોકો જિંદગી જિવવાની તક જુદાં જુદાં કારણોસર વેડફી નાંખે છે ! આપઘાત કરી લ્યે છે. પોતે તો જિંદગી ગુમાવે જ છે, પરિવારજનોને કાયમી વેદના આપીને જાય છે. આપઘાતોનુ મોટું પ્રમાણ સમાજની સ્વસ્થતા માટે જોખમી અને ગંભીર છે. કરૂણતા પણ છે. એમાં પણ નાની વયનાં છોકરા-છોકરીઓની આત્મહત્યાઓ અતિ ગંભીર મામલો છે.
આપણે સૌ આ કરૂણતાથી પરિચિત છીએ ! જામનગર સહિત રાજ્યભરમાં આ પ્રકારના ટીનેજરો જિંદગી શરૂ કરતાં પહેલાં જ મોતને ગળે લગાડી લેતાં હોય એવાં સંવેદનશીલ બનાવોની સંખ્યા સતત વધી રહી છે ! ખાસ કરીને 13 થી 17 વર્ષની વચ્ચેની વયનાં આ ટીનેજરોના આપઘાત તેઓનાં પરિવારોને હચમચાવી મૂકે છે. સામાજિક પ્રતિષ્ઠાને પણ ધક્કો પહોંચે છે. ઘણાં કિસ્સાઓમાં મૃતકોના પરિવારજનોને નીચાજોણું પણ થતું હોય છે. કેટલાંયે માબાપો પોતાનાં લાડલાલાડલીઓના અકાળે મોતથી સમસમી જાય છે. ઘણાં ટીનેજરો અને યુવક યુવતીઓ પોતાના ભાઈબહેનનાં આ પ્રકારના આપઘાતથી માનસિક વેદનાઓ અનુભવે છે. આવાં પરિવારોનાં વયોવૃદ્ધ વડિલો તો ત્યાં સુધી કહેતાં હોય છે, આ દિવસો દેખાડતાં પહેલાં ભગવાને અમને કાં ન ઉપાડી લીધાં ?! વૃદ્ધોનો આ વલવલાટ આપણને હચમચાવી મૂકે એવો હોય છે !
મુખ્ય મુદ્દો એ છે કે-સમાજમાં બેફામ દેખાદેખી, શિક્ષણનો બિનજરૂરી બોજ, અયોગ્ય સ્પર્ધા, સંતાનો ભણવામાં પ્રથમ ક્રમે જ રહે એ પ્રકારની માબાપોની વધુ પડતી અપેક્ષાઓ, મોબાઈલ કલ્ચરની માઠી અસરો અને વિકૃતિઓ, સોબતની અસરો, માબાપો અથવા શિક્ષકો તરફથી મળતાં લાભદાયી ઠપકાઓનું સંતાનો-છાત્રો દ્વારા થતું અણસમજુ અર્થઘટન અને હોસ્ટેલ લાઈફમાં મળતી સ્વતંત્રતાનું સ્વચ્છંદતામાં થતું રૂપાંતરણ સહિતનાં વિવિધ અને જટિલ કારણોસર જેમાં માબાપો તરફથી દાખવવામાં આવતી બેદરકારી સહિતની બાબતોનો પણ સમાવેશ થાય છે ! આવી બાબતોનાં પરિણામો અંતે ગંભીર પૂરવાર થતાં રહે છે !
-કાલે મંગળવારે પણ આવો એક કરૂણ બનાવ
જામનગર જિલ્લામાં નોંધાયો છે. ધ્રોલ નજીકનાં ખારવા પાસે આવેલાં ગણેશ વિદ્યા સંકુલની હોસ્ટેલમાં, બપોરે બાર વાગ્યા પહેલાંનાં કોઈ પણ સમયે મહેશ્વરીબા નામની દીકરીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી ! એવી વિગતો મંગળવારે રાત્રે મૃતકનાં પિતા સંજયસિંહ જેસંગજી જાડેજા ( વેપારી, મેઘપર પડાણા)એ પોલીસમાં જાહેર કરી છે. જો કે હજુ સુધી આ દીકરીનાં મોતનું કારણ જાહેર થવા પામ્યું નથી પરંતુ લોકમુખે ચર્ચા એવી છે કે, આ દીકરીને ગુરૂજન દ્વારા કોઈ ઠપકો આપવામાં આવ્યો હતો. ઠપકો અપાયો હતો કે કેમ ? ઠપકો શા કારણથી અપાયો હતો ? અને, ઠપકા પાછળની હકીકતો શું હતી ?! વગેરે મુદ્દાઓ પોલીસતપાસ પછી જ સ્પષ્ટ થઈ શકે પરંતુ અત્યારે તો આ જાડેજા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.