Mysamachar.in:જામનગર
જામનગર શહેર-જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ સાત વિધાનસભા બેઠકો સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની કુલ 89 બેઠકો પર આજે, પહેલી ડિસેમ્બરે સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ આ બેઠકો પૈકી નવ બેઠકો એવી છે, જેનાં પર ઘણાં બધાં લોકોની વિશેષ નજર છે. આ નવ બેઠકો શા માટે ખાસ છે ? જોઈએ થોડાં વિસ્તારથી. આ નવ ખાસ બેઠકોમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. એક જમાનામાં આ બેઠક પર રાજ્યનાં પૂર્વ મંત્રી અને આ જ બેઠક પરનાં વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નો કબજો હતો. ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ કારણસર આ બેઠકની ટિકિટ આ ચૂંટણીમાં રિવાસિંહ સોલંકી-જાડેજાને આપી છે. તેઓ ભારતીય ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજાના જીવનસાથી છે. તેથી સૌ આ બેઠકને સેલિબ્રિટી બેઠક તરીકે જૂએ છે. વળી, એ મુદ્દો પણ જાણીતો થયો છે કે – રવિન્દ્ર જાડેજાના પિતા તથા બહેન એટલે કે ઉમેદવાર રિવાસિંહ સોલંકીનાં નણંદ અને સસરા ઇચ્છે છે કે, રિવાસિંહ આ બેઠક પર હારી જાય ! આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જિતે એવું તેઓ ઈચ્છે છે. રિવાસિંહના નણંદ નયનાબા કોંગ્રેસના પ્રદેશ હોદેદાર છે. રવિન્દ્ર જાડેજાના પિતાનો આ વીડિયો વાયરલ પણ થયો છે. જો કે, આ બેઠક સહિત જામનગર જિલ્લાની કુલ ત્રણ બેઠક જિતાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય હકુભા જાડેજાના ખભે મૂકી છે. આ ફરમાન મોદી-શાહનું હોવાનું પણ માનવામાં આવે છે.
જેનું પરિણામ ઘણાં પ્રકારના સંકેતો લોકો સુધી પહોંચાડશે, એવું માનવામાં આવે છે. જો કે આ બેઠક પરનાં કોન્ગ્રેસના તથા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ નબળાં નથી. તેઓ બંને પણ રાજનીતિના પીઢ ખેલાડીઓ છે. જે પૈકી કોન્ગ્રેસના ઉમેદવાર ભાજપાનાં ઉમેદવાર માફક ક્ષત્રિય સમાજના છે. જેથી આ મુકાબલો વધુ રોચક બન્યો છે.
હાલાર પંથકમાં આવી અન્ય એક ખાસ બેઠક દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક છે. આ બેઠક દાયકાઓથી આહિર સમાજનાં કબજામાં છે. વર્તમાન ધારાસભ્ય પણ આ જ સમાજમાંથી આવે છે. તેઓ પીઢ કોંગ્રેસી છે. તેઓની સામે ભાજપાએ પણ આહિર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. તેઓ પણ સ્થાનિક રાજનીતિમાં માહિર છે. મોદી-શાહની ગુડબુકમાં પણ આ ઉમેદવાર સમાવિષ્ટ છે.એક સવાલ એ પણ છે કે, આ વિધાનસભા મતવિસ્તારમાં પ્રભુત્વ ધરાવતાં આહિર મતો કોની તરફેણમાં રહેશે ?! ખંભાળિયાની આ બેઠક એટલાં માટે પણ ખાસ છે કેમ કે, આમ આદમી પાર્ટીએ અહીં પોતાનાં મુખ્યમંત્રી ચહેરાને મેદાનમાં મૂક્યો છે ! આ તીવ્ર જંગમાં તેઓ શા માટે કૂદયા ?! એ અંગે પાર્ટી કહે છે: તેઓ પણ આ વિસ્તારના જ વતની છે. તેઓ ગઢવી સમાજમાંથી આવે છે. આમ આદમી પાર્ટી માટે પણ આ બેઠક પરનો જંગ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. આ બધાં કારણોસર રાજકીય નિરીક્ષકો આ બેઠકને પણ નવ ખાસ બેઠકોમાં ગણી રહ્યા છે.
આ ઉપરાંત અન્ય સાત ખાસ બેઠકોમાં કુતિયાણા, પોરબંદર, કતારગામ ( સુરત), ભાવનગર(પશ્ચિમ), વરાછા રોડ, ગોંડલ અને મોરબીનો સમાવેશ થાય છે. જે પૈકી કુતિયાણા બેઠક દસ વર્ષથી કાંધલ જાડેજાનાં કબજામાં છે. તેઓ લેડી ડોન તરીકે ભૂતકાળમાં ચર્ચામાં રહેલાં સંતોક જાડેજાના પુત્ર છે. તેઓ હેટ્રીક કરશે કે કેમ ? તેની ચર્ચા છે. સામે ભાજપાએ મહિલા ઉમેદવાર મૂકયા છે. પોરબંદર, મહાત્મા ગાંધીની જન્મભૂમિ પણ ખાસ બેઠક લેખાય છે. અહીં બે વખત હાર્યા પછી કોન્ગ્રેસના ઉમેદવાર ત્રીજી વખત મેદાનમાં છે. તેઓની માફક ભાજપાનાં ઉમેદવાર પણ મહેર સમાજમાંથી આવે છે. સુરતની કતારગામ બેઠક ચર્ચામાં હોવાનું કારણ એ છે કે, આ બેઠક પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આક્રમક રાજનીતિના ખેલાડી છે.
ભાવનગર પશ્ચિમ બેઠક એટલાં માટે ખાસ બેઠક છે કેમ કે, આ બેઠક પર ભાજપના શિક્ષણમંત્રી ચૂંટણી લડે છે. દસ વર્ષથી તેઓ આ બેઠક પર કબજો ધરાવે છે. તેની સામે આમ આદમી પાર્ટીએ પોતાનાં એક પોસ્ટર બોય એવાં એક સામાજિક કાર્યકરને ટિકિટ આપી છે. કોન્ગ્રેસ પણ અહીં લડાઈ આપી રહી છે. ખાસ લેખાતી ગોંડલ બેઠક બાહુબલિઓને કારણે ચર્ચામાં છે. આ બેઠક પર ચૂંટણી પંચે આર્મી ગોઠવવી પડી છે. બે પૈકી એક બળિયાએ આ બેઠક પર પરાજય ખમવો પડશે. અને, નવમી ખાસ બેઠક છે -મોરબી. આ બેઠક ત્રીસમી ઓક્ટોબરની ગોઝારી પુલ દુર્ઘટનાને કારણે ચર્ચામાં છે. અહીં ભાજપાએ અગાઉનાં પરાજિત અને પૂર્વ ધારાસભ્યને મેદાનમાં મૂક્યા છે. તેઓને ચૂંટણી લડાવવા ભાજપાએ સરકારનાં વર્તમાન પ્રધાનને ઘરે બેસાડી દીધાં ! તેઓ જો કે કોન્ગ્રેસ કુળ ધરાવે છે. પેટા ચૂંટણીમાં ભાજપાએ તેઓને ટિકિટ આપેલી, પછી પ્રધાન પણ બનાવ્યા. અને, ત્રણ જ વર્ષમાં ઘરે પણ બેસાડી દીધાં !! આમ આ નવ બેઠકો પર સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત ત્રણેય મુખ્ય પક્ષોની વિશેષ નજર છે.