Mysamachar.in:જામનગર
જામનગરમાં શ્રાવણી લોકમેળો ફજેતફાળકે ચડયો છે. એકદમ ઘૂમરીઓ ખાઈ રહ્યો છે. કશું જ નકકી નથી કે, મેળો શરૂ કયારે થશે ?! અને બીજી બાજુ લાખો નાગરિકોને ઇંતજાર છે મનોરંજનનો મહાસાગર એવો મેળો કયારે શરૂ થાય. દર વર્ષે પ્રદર્શન મેદાન તથા નદીનાં પટમાં યોજાતાં લોકમેળાઓમાં લાખો લોકો મહાલે છે. બાળકો અને મોટેરાંઓ મિત્રો અને પરિવારજનો સાથે મેળાઓમાં ભરપૂર મનોરંજન માણતાં હોય છે પરંતુ આ વર્ષે મેળાઓને ગ્રહણ લાગી ગયું છે ! નદીનાં પટમાં કાંઈ ઠેકાણું નથી. કોઈ જ તૈયારીઓ થઇ નથી. એક જ ખાનગી પાર્ટીને આખો મેળો આપવામાં આવ્યો છે.
પ્રદર્શન મેદાનમાં પણ મેળો કયારે શરૂ થશે ? એ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ અથવા તારીખ કોર્પોરેશન પાસે નથી. Mysamachar.in સાથેની વાતચીતમાં એસ્ટેટ વિભાગના કંટ્રોલીંગ મુકેશ વરણવાએ જણાવ્યું છે કે, જયારે પણ પર્ફોમન્સ લાયસન્સ આવી જશે ત્યારે મેળો શરૂ થશે. આ લાયસન્સ મેળવવાની જવાબદારી સંબંધિત મેળા ધંધાર્થીઓની છે. જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મેળાઓ શરૂ કરવામાં આવશે નહીં. અને મેળાનું ઉદઘાટન તો મેળો ફૂલ ફલેજડમાં ચાલુ થઇ જાય પછી ગમે ત્યારે ગોઠવી નાંખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકારની અનિર્ણાયક સ્થિતિ હોવા છતાં કોર્પોરેશને ખૂબ જ ઉમંગભેર, કોઈ જાતની તૈયારીઓ વિના ઉદઘાટનની તારીખ જાહેર કરી દીધેલી. મહેમાનો પણ નકકી કરી લીધાં હતાં. આમંત્રણ કાર્ડ પણ ઇસ્યુ કરી દીધાં હતાં. પછી અચાનક જાહેર કરી દીધું કે, ઉદઘાટન સમારોહ રદ્દ કરવામાં આવ્યો છે !
અત્રે એ પણ નોંધનીય છે કે, પ્રદર્શન મેદાનમાં મેળાનાં સ્થળે ઇલેક્ટ્રિક સપ્લાય સહિતની બાબતો હજુ પૂર્ણ થઈ નથી. SDM કચેરીમાંથી મેળાઓનાં ધંધાર્થીઓને પર્ફોમન્સ લાયસન્સ કયારે મળશે, તે નકકી નથી. SDM દિલ્હી છે, તેઓનો ચાર્જ કોઈને આપવામાં આવ્યો નથી. પર્ફોમન્સ લાયસન્સનું ટેબલ સંભાળતા અધિકારી અન્ય વિભાગનાં છે. તેઓને મેળાઓ વિશે કોઈ જ જાણકારી નથી ! આ સ્થિતિમાં કોર્પોરેશનનાં ભરોસે રહેવાને બદલે નગરજનો ધારે તો પોતાનું જન્માષ્ટમી વેકેશન અન્ય સ્થળે પણ માણી શકે છે.