Mysamachar.in:જામનગર
ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ આગામી દ્વારા તા.11/05/2023 થી તા.16/05/2023 સુધી સૌરાષ્ટ્ર રાહિત જામનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવેલ છે. આગાહી તેમજ આગામી ગરમીનાં દિવસોમાં લુ ની અસરથી બચવા જિલ્લાનાં નાગરીકોને હીટવેવ દરમ્યાન બહાર નિકળવાનું ટાળવા, શરીર અને માથું ઢાંકીને રાખવા, સફેદ અને ખુલ્લા કપડા પહેરવા, છત્રીનો ઉપયોગ કરવા, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બિમાર વ્યકિતઓને તડકામાં વિશેષ કાળજી રાખવા, સીધા સૂર્યપ્રકાશથી બચવા, વારંવાર ઠંડુ પાણી પીવા, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી અને નાળિયેરનું પાણી તેમજ ખાંડ-મીઠાનું દ્રાવણ અને ઓ.આર.એસ.વિગેરે પૂરતા પ્રમાણમાં પીવા, બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાનાં પાનનો ન્હાવાના પાણીમાં ઉપયોગ કરવા, શરીરનું તાપમાન નીચું આવે ત્યારે જ ન્હાવા, છાંયડામાં રહેવા, બજારનો ખુલ્લો ખોરાક ન ખાવા, બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ન કરવા,
દુઘ અને માવાની આઇટમો ન ખાવા તેમજ ચા-કોફી અને દારૂનું સેવન કરવાથી લૂ લાગવાની શકયતાઓ વધુ હોવાથી આનું સેવન ન કરવા અને ખાસ કરીને દિવસોમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવા સહિતનાં પગલાં લેવા જણાવવામાં આવે છે. ગરમીનાં દિવસોમાં માથાનો દુખાવો, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, મૂંઝવણ થવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ લાગવાનાં મુખ્ય લક્ષણો છે.
આ ગરમીની મોસમ દરમ્યાન સારૂ આરોગ્ય જળવાઇ રહે તે માટે વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત, રાત્રિ દરમ્યાન કાળી દ્રાક્ષ અને સવાર-બપોર-સાંજે તરબુચનો ઉપયોગ કરવો તેમજ લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર, 108 તેમજ અઘટિત બનાવ બને તો જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં.0288-2553404 ઉપર જાણ કરવા જાહેર જનતાને અનુરોઘ કરવામાં આવે છે.