Mysamachar.in:જામનગર
કોઈ પણ ગામ, શહેર, રાજય કે દેશનું વાર્ષિક નાણાંકીય બજેટ એક અર્થમાં સંબંધિત સંસ્થા દ્વારા થતાં નાણાંકીય સંચાલનનો અરીસો હોય છે. આ અરીસો ચોખ્ખો ન હોય તો, સ્વાભાવિક છે કે, જેતે સંસ્થાનો ચહેરો ધૂંધળો જ દેખાય. જામનગર મહાનગરપાલિકાનો આ અનુભવ દાયકાઓ જૂનો છે !
કોર્પોરેશન સહિતની પ્રત્યેક જાહેર સંસ્થાઓ કરદાતાઓના નાણાંથી ચાલે છે, શ્વાસ લ્યે છે. કરદાતાઓ માટે સંસ્થાઓએ કામો કરવાનાં હોય છે. અને કરદાતાઓ પોતાનાં નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે કેમ ? તે પ્રશ્નનો જવાબ સંસ્થાઓ પાસેથી મેળવવાનો અધિકાર ધરાવે છે. કારણ કે, આ સંસ્થાઓ વર્ષ દરમિયાન જે કાંઈ નાણું ખર્ચ કરે છે તે નાણું કરદાતાઓની મહેનત અને પસીનાની કમાણી છે. આ નાણાંનું સંચાલન કરદાતાઓની અપેક્ષાઓ મુજબ જ થવું જોઈએ, આ સાદો અને મૂળભૂત સિદ્ધાંત છે. કારણ કે, કરદાતાઓ જ ખરાં માલિકો છે. જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ માત્ર ટ્રસ્ટી અને સેવકો છે. સંસ્થાઓના સ્વામી નથી. માલિક નથી. મનસ્વી વર્તન ન કરી શકે. તેઓ માત્ર મેનેજર છે.
અમદાવાદ અને રાજકોટમાં પણ એ જ પક્ષનું શાસન છે, જે પક્ષ જામનગર મહાનગરપાલિકામાં દાયકાઓથી શાસન ચલાવે છે. અમદાવાદ તથા રાજકોટમાં મહાનગરપાલિકાઓએ નગરજનોને પૂછ્યું : કહો, આપણાં શહેરનું આગામી બજેટ કેવું હોવું જોઈએ ? નગરજનો, તમારી શું અપેક્ષાઓ છે ? તમે કેવો વિકાસ ઈચ્છો છો ? કયા કામો પ્રથમ થવા જોઈએ ? તમારી પ્રાથમિક સુવિધાઓમાં શું ખૂટે છે ?? વગેરે વગેરે. નવાઈની વાત એ છે કે, જામનગર મહાનગરપાલિકા આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટની તૈયારી કરી રહી છે, પરંતુ નગરજનોને પૂછતી નથી, પૂછવા માંગતી પણ નથી, કે – નગરજનો કોર્પોરેશન પાસેથી શું ઇચ્છે છે ?! કોર્પોરેશનની આ દાદાગીરી નગરજનો શા માટે ચલાવી લ્યે છે ? આપણાં નાણાં આપણને પૂછયા વિના કોઈ કેવી રીતે ખર્ચ કરી શકે ? જાગો નગરજનો જાગો.
અન્ય એક મહત્વનો મુદ્દો એ છે કે, દર વર્ષે મહાનગરપાલિકા પોતાની જાતે આંકડાઓનાં ચિતરામણ કરી બજેટ બનાવી નાંખે છે. આ ચિતરામણ ફાલતૂ પૂરવાર થઈ રહ્યું છે, દાયકાઓથી. બજેટ સ્પીચમાં મહાનગરપાલિકા શબ્દોનાં સાથિયા ચીતરે છે. આ સાથિયાઓ ચીતરી ચડે એવાં વાસી હોય છે. દર વર્ષે બજેટ કોપી પેસ્ટ થાય છે. કરદાતા નગરજનોના નાણાંમાંથી વિકાસશીલ, સંતુલિત અને સર્વસમાવેશક બજેટ બનવું જોઈએ. શહેરનાં પ્રત્યેક નાગરિકને તમામ પ્રાથમિક સેવાઓ અને સુવિધાઓ મળવી જોઈએ. આ સેવાઓ અને સુવિધાઓની ક્વોલિટી ટનાટન હોવી જોઈએ. આ સેવાઓ અને સુવિધાઓ નિયમિત અને વિનામૂલ્યે હોવી જોઈએ.
બજેટમાં શહેરનાં તાકીદે કરવાનાં કામો, વર્ષ દરમિયાન કરવાનાં કામો અને આગામી પાંચ પચ્ચીસ વર્ષ દરમિયાન સ્ટેપ બાય સ્ટેપ કરવાનાં કામોની અને તેનાથી નગરજનોને પ્રાપ્ત થનારા ફાયદાઓની સંપૂર્ણ, પારદર્શક અને વિસ્તૃત બ્લૂ પ્રિન્ટ નગરજનો સમક્ષ મૂકાવી જોઈએ. બજેટમાં આવક અને ખર્ચના અંદાજો સાચાં હોવા જોઈએ. આ આંકડાઓ વર્ષ આખરે સત્ય પૂરવાર થવા જોઈએ. કોર્પોરેશને નાણાંકીય ખર્ચ દરમિયાન કરકસર કરવી જોઈએ. કારણ કે, આ તમામ નાણું કરદાતાઓનુ છે. કોર્પોરેશને કરદાતા નગરજનોને પૂછ્યા વિના ‘ પાણી ‘ ન પીવું જોઈએ, શહેરનાં લાખો કરદાતા નગરજનો વતી આ લાગણી પ્રદર્શિત કરવામાં આવી છે, નગરજનોની અપેક્ષાઓ છે કે – મહાનગરપાલિકા હવે સુધરી જાય, લાલિયાવાડી દાયકાઓથી ચાલી રહી છે. હવે બસ, બહુ થયું.