Mysamachar.in-જામનગર
જામનગરના શરૂ સેકશન રોડ પર આવેલા મહેસૂલ સેવા સદનના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ સિવિક સેન્ટરમાં કર્મચારીઓની મનમાની ચાલતી હોવાની અનેક ફરિયાદો છાશવારે ઉઠતી રહે છે, અરજદારો ધક્કા ખાય અને બાબુઓ મજા કરે તેવી સ્થિતિ આ કચેરીની મોટાભાગના દિવસોમાં જોવા મળતી હોય છે, જાણવા એવું પણ મળે છે કે આ કચેરીમાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓ બહારગામથી અપડાઉન કરે છે, જેને કારણે મોટાભાગે 12.30 વાગ્યા પહેલા તેના દર્શન થતા નથી અને આવ્યા બાદ થોડીવાર આરામ… ચા પાણી અને બાદમાં કામ….. આમ અરજદારો સવારથી સમયસર આવી અને પોતાનું કામ જલ્દી પૂરું થાય તે માટે લાઈનોમાં ઉભા હોય છે, પણ સાહેબો આવે ત્યારે કામ થાય ને..?
મહેસુલ સેવા સદનના સિવિક સેન્ટરમાં વિવિધ દાખલાઓ જેવા કે આવક, જાતિ, ક્રિમીલીયર સહિતના દાખલાઓ કઢાવવા દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, કોરોના સંક્રમણ ફેલાતું અટકાવી શકાય તેવા તકેદારીના ભાગરૂપે અહી કેન્દ્રમાં બારી પરથી દાખલા આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે પટાંગણમાં સુરક્ષા કર્મી બેસાડવામાં આવ્યા છે એવામાં ગઈકાલે બુધવારે બપોરે 12.30 વાગ્યા સુધી એટીવીટી કેન્દ્રમાં અધિકારીઓ આવ્યા ન હોય દાખલાઓમાં વિલંબ થતાં અરજદારોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. અને અમુક જાણકારો તો ત્યાં સુધી કહે છે અહી રોજનું આવું જ છે… 12.30 પછી તો માંડ કામ શરુ થાય છે, લે બોલ…તો શું સાહેબોને આવી જાણકારી નહિ હોય.. કોઈ અરજદારો ફરિયાદ નહિ કરતા હોય..?
આ કચેરીમાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓના વાણી વર્તનને લઈને પણ અરજદારોની વારંવારની ફરિયાદો છતાં પણ પગલા લેવામાં આવતા નથી. તો આ રીતે વારંવારની ફરિયાદ અને ગઈકાલની ફરિયાદ અંગે શહેર મામલતદારે જણાવ્યું કે એટીવીટી કેન્દ્રમાં ફરજ બજાવતા અધિકારીઓ બુધવારે કલેકટર કચેરીમાં કામગીરી માટે ગયા હોય કેન્દ્રમાં બપોરે આ સમય દરમિયાન ગયા હતા માટે હાજર નહોતા તેમ જણાવ્યું હતું.પણ સાહેબ ગઈકાલ જે થવાનું હતું તે થઇ ગયું હવે બધું બરોબર ચાલે તે જોજો એટલે અરજદારોને પરેશાન થવાનો વારો ના આવે કારણ કે કેટલાય રોજીંદા કામો માટે આવતા અરજદારો કહે છે કે ગઈકાલે એક દિવસ નહી અહી રોજ આવું જ હોય છે.