Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં GST ચોરી કોઈથી પણ અજાણી હોય, એવું નથી. GST કૌભાંડ પણ જાણીતા છે. સરકારની એટલે કે પ્રજાની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવાના કૃત્યો પણ નવા નથી. વેપારીઓ અને ઉદ્યોગકારો કરોડો રૂપિયા ‘સેરવી’ લ્યે છે અને ગજવામાં આ નાણું ઘાલી લીધાં બાદ પણ પકડાતા નથી. કેમ કે તંત્ર ચુસ્ત નથી. અને, તંત્રની આ ઉદાસીનતા સરકાર શા કારણથી ચલાવી લ્યે છે, એ પણ એક રહસ્ય છે.
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજારો ટ્રકસ રાતદિવસ દોડે છે, GSTની વ્યાખ્યામાં આવતો અબજો રૂપિયાનો ‘માલ’ રાતદિવસ તમામ રાજ્ય તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વહન થતો હોય છે. આ માલ અંગે તંત્ર અજાણ હોય છે ? કેમ, ક્યારેય ચેકિંગ થતું નથી ? કરોડો રૂપિયાનો દારૂ ઝડપાઈ જાય છે, કરોડો રૂપિયાનો આ માલ કેમ ઝડપાઈ જતો નથી ? તંત્રને હેરાફેરીની ખબર ન હોય, એ શક્ય છે ? કાગળ પર દેખાડવા પૂરતાં પણ કેસ નોંધાતા નથી.
ટ્રકસમાં વહન થતો માલ GST પેઈડ છે કે ઝીરોનો માલ છે ? આ બાબતની તપાસ તંત્રની દરોડા વિંગ દ્વારા કેમ થતી નથી ? દરોડા વિંગ શું કરે છે ? ઓફ ધ રેકોર્ડ કામગીરીઓ કરે છે ? વડી કચેરી (જૂનાગઢ)ને પણ સાચવી લ્યે છે ? અને, તંત્રની જામનગર કચેરી વર્ષ દરમિયાન શી કામગીરીઓ કરે છે ? તે પણ ક્યારેય બહાર આવતું નથી.
જે રીતે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કરચોરો માટે આશિર્વાદરૂપ છે એ જ રીતે રાતદિવસ ધોરીમાર્ગો પર દોડતી ટ્રાવેલ્સની વૈભવી અને તોતિંગ બસો પણ કરચોરો માટે ‘ઉપયોગી’ હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. અચરજની વાત એ છે કે, દરોડા વિંગ સહિતનું તંત્ર આ કરચોરી અંગે પણ આંખ આડા કાન કરતું હોવાનું જાણવા મળે છે. જામનગરના બ્રાસ ઉદ્યોગ સહિતના ઘણાં વેપાર ઉદ્યોગ ક્ષેત્રની જાહોજલાલીમાં કરચોરીનો સિંહ ફાળો હોવાની ચર્ચાઓ જ્યારે સૌ કરતાં હોય, સર્વત્ર આ ચર્ચાઓ થતી હોય, ત્યારે તંત્રનું મૌન સ્વાભાવિક રીતે જ શંકાઓને મજબૂત બનાવતું હોય છે. તંત્રના અધિકારીઓને બઢતીઓ અને પસંદગીની શાંતિ સિવાયની કોઈ બાબતોમાં રસ હોય તેવું દેખાતું નથી. સરકારે કર આવકો વધારવા તંત્રની ભેદી ગતિવિધિઓ પર નજર રાખવી આવશ્યક છે, એમ જાણકારો કહે છે.