Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકા ક્યારેય ‘સુધરે’ એવું દેખાતું નથી ! વધુ એક વખત નગરજનોએ જામ્યુકોની લઘરવઘર પ્રિ મોન્સુન કામગીરી પ્રત્યે ઉકળાટ ઠાલવ્યો. અને, ખુદ કેબિનેટ મંત્રી સમક્ષ આકરાં શબ્દોમાં લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. જામ્યુકોનાં પાપે મંત્રીને સાંભળવાનો વારો આવ્યો, આ તકે મેયર અને કમિશનર પણ સાથે હતાં, તેઓને પણ ખ્યાલ આવી ગયો કે, આપણાં તંત્ર પ્રત્યે લોકોને કેટલો ગુસ્સો છે ! જામનગરમાં વોર્ડ નં.11 માં ભારે વરસાદને પગલે બહુ કફોડી સ્થિતિ સર્જાઈ હતી. આ વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી ગઈ ! મુખ્યમંત્રીએ કેબિનેટ મંત્રીને સૂચના આપી કે, તમારાં વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરો. તાકીદે પ્રશ્નો નિપટાવો. ત્યારબાદ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ વોર્ડ નં.11 માં આજે શનિવારે સવારે પહોંચ્યા અને લોકોએ તેમને ઉગ્ર રજૂઆત કરી અહી સ્થાનિક કોર્પોરેટરો કે નેતાઓ ના ફરક્યા અંગેની ફરિયાદ પણ કરી…
સ્થાનિક રહીશોએ લાલચોળ ગુસ્સા સાથે મંત્રી સમક્ષ ઉકળાટ ઠાલવતા કહ્યું : અમો એક વરસથી મેયર અને કમિશનર કચેરીમાં રજૂઆતો કરીએ છીએ. આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાણીની પાઈપલાઈન પાથરવાની કામગીરી એ રીતે કરી કે, તમામ ભૂગર્ભ ગટર બ્લોક થઇ ગઈ ! લોકો લાંબા સમયથી દહેશત વ્યકત કરતાં હતાં કે, ચોમાસામાં અહીં પાણી ભરાશે !
તંત્રએ છેક સુધી જવાબ આપ્યે રાખ્યો કે, કામ થઈ જશે ! તંત્રએ છેક સુધી કામ ન કર્યું ! હજારો નગરજનો ભારે વરસાદ અને પૂરની દહેશત વચ્ચે રાતભર પાણીમાં રહ્યાં ! વોર્ડ નં.11 નાં નારાયણનગર, મોહનનગર ઢાળિયા અને રાજમોતી ટાઉનશિપ સહિતનાં વિસ્તારોમાં લોકોએ ભયમાં રાત વિતાવી. કેબિનેટ મંત્રીએ આ સ્થિતિ ‘ભારે વરસાદ’ અને ‘નીચાણવાળા વિસ્તાર’ ને કારણે સર્જાઈ એવું નિષ્ણાંત નિવેદન આપ્યું. જો કે મંત્રી એમ બોલ્યાં કે, લોકોનાં કહેવા પ્રમાણે, આ પ્રશ્ન વર્ષો જૂનો છે ! આ શબ્દો કમિશનર અને મેયર સાંભળી રહ્યા હતાં !
અત્રે એ પણ નોંધનીય છે કે, આ વિસ્તારોનાં રહેવાસીઓએ ‘ચક્કાજામ’ કર્યા પછી જ, સૌ નગરજનોની તકલીફો પૂછવા ગયા છે ! અને, લોકોનાં કહેવા પ્રમાણે, અત્યારે પણ માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યું છે. આ સ્થિતિ માત્ર આ એક જ વિસ્તારમાં નથી ! શહેરમાં ઘણાં વિસ્તારોમાં વરસાદમાં સ્થિતિ કફોડી બને જ છે ! પોશ વિસ્તારોમાં પણ જલભરાવ થાય છે. વિકસિત વિસ્તારોમાં સ્થિતિ આવી હોય તો કલ્પના કરો, પછાત અને સામાન્ય વિસ્તારોમાં સ્થિતિ શું હોય શકે ?!
આ વિસ્તારના રહેવાસીઓએ ત્યાં સુધી કહ્યું કે, જલભરાવ મુદ્દે જામ્યુકોનાં ફ્લડ કંટ્રોલ રૂમે પણ લોકોની વાત કે વેદના સમજવાનો પ્રયત્ન કર્યો ન હતો. આ એ જ તંત્ર છે જે ચોમાસા પૂર્વે ઈમરજન્સી ફોન નંબરો જાહેર કરે છે ! સમગ્ર વર્ષ દરમિયાન જવાબ ન આપતું તંત્ર ભારે વરસાદની સ્થિતિમાં પણ લોકોની ચિંતા કરતું નથી – આ પ્રકારની લાગણી આ વિસ્તારના રહેવાસીઓએ મંત્રી, મેયર અને કમિશનરની ઉપસ્થિતિમાં વ્યક્ત કરી ! આથી વિશેષ, તંત્ર તથા શાસકો વિશે શું લખી શકાય ?!
-તંત્ર ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તાર એવા બહાનાંઓ કાઢી શકે નહિ…
જામનગર મહાનગરપાલિકાનું તંત્ર દર વર્ષે પ્રિ મોન્સુન કામગીરી પહેલાં, કરોડો રૂપિયાનાં ખર્ચની વારતાઓ કરે છે. પછી, વરસાદ આવે એટલે જામ્યુકોની આબરૂ મરેલાં ઢોરના મૃતદેહ માફક વરસાદનાં પાણીમાં તણાઈ જતી જોવા મળે છે ! તંત્ર ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તાર એવા બહાનાંઓ દેખાડી શકે એમ નથી. તંત્રએ ચોમાસામાં વરસાદ કે ભારે વરસાદની સામે લડવા તૈયારીઓ રાખવાની જ હોય, એ જ રીતે પ્રિ મોન્સુન કામગીરી કરવાની હોય. બહાનાં દેખાડવાથી અણઆવડત છૂપાવી શકાતી નથી. જામ્યુકોનું તંત્ર દર વખતે પ્રિ મોન્સુન કામગીરીમાં ડફોળ શાથી પૂરવાર થાય છે ?!