Mysamachar.in:જામનગર
આર્થિક રીતે જેઓ બહુ સક્ષમ ન હોય તેવા ઓછી આવક ધરાવતાં લોકોને પોસાય શકે તેવી કિંમતે અને હપ્તા-લોન પદ્ધતિએ રહેવા માટે ઘરનું ઘર મળી શકે તે હેતુથી મહાનગરપાલિકાના માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજનાઓ કાર્યરત છે. પરંતુ આવી યોજનાઓમાં ઘણાં કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે, આવાસો પૈકી ઘણાં આવાસોનું કોઈ લેવાલ નથી હોતું. આ આવાસો લાંબા સમય સુધી ખાલી પડયા રહે છે. અને તેનાં વેચાણ માટે કોર્પોરેશને વારંવાર જાહેરાતો કરવી પડે છે.
હાલમાં પણ કોર્પોરેશન આ પ્રકારના ઘણાં ખાલી ફલેટ વેચવા માટે કસરત કરી રહ્યું છે. શહેરમાં જુદી જુદી ત્રણ સાઈટ પર, અલગ અલગ ચાર પ્રકારના ફલેટસ ખાલી પડ્યા છે. ખાલી પડેલાં આ ફલેટસની સંખ્યા 198 છે. જેમાં રૂપિયા 3 લાખ પ્રતિ ફલેટથી માંડીને રૂપિયા 7.5 લાખ પ્રતિ યુનિટ સુધીના ફલેટસનો સમાવેશ થાય છે. જેની સરેરાશ અંદાજિત કુલ કિંમત રૂપિયા 10 કરોડ થવા જાય છે. ટૂંકમાં કોર્પોરેશનના આ નાણાં હાલ બ્લોક……
આ ઉપરાંત અન્ય એક સમસ્યા એ હોય છે કે, ઘણાં બધાં ખાલી ફલેટનો ગેરકાયદેસરનો કબજો કોઈ એવા આસામીઓ પાસે પણ હોય છે જેઓ ખુદ ત્યાં ગેરકાનૂની પ્રવૃતિઓ આચરતાં હોય અથવા તેઓની આડશે અન્ય અસામાજિક તત્ત્વો આ પ્રવૃતિઓ કરતાં હોય, જેનું કયારેય ચેકિંગ કરવામાં આવતું નથી. આ ઉપરાંત ઘણાં લોકો લોનનો હપ્તો ચૂકવવામાં પણ ઘણી જાતના અખાડાઓ કરતાં હોય છે. ઘણાં આવાસોના રહીશો અસામાજિક પ્રવૃતિઓથી પણ ત્રાસી ગયેલાં હોય છે, જેઓની ફરિયાદો કોઈ કાને ધરતું નથી.
ખાલી આવાસોની સંખ્ય જોઈએ તો, મયૂરનગર મેઈન રોડ, વામ્બે આવાસ પાસેની યોજનામાં રૂપિયા 3 લાખનો એક એવા 45 ફલેટસ, એમ.પી.શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં રૂપિયા 7.5 લાખનો એક એવા 65 ફલેટસ, બેડી રેલવે ઓવરબ્રિજ નજીક રૂપિયા 3 લાખવાળા અને રૂપિયા 5.50 લાખવાળા 88 ફલેટસ મળી કુલ 198 ફલેટસ હાલ ખાલી છે જેના માટે લોકો પાસેથી કોર્પોરેશને અરજીઓ મંગાવી છે જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. જેમાં પણ કાઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી….
રાજકોટ સહિત અન્ય શહેરોમાં એવી વ્યવસ્થા છે કે, આ પ્રકારના આવાસોના કોઈ લેવાલ ન હોય, અરજીઓ આવતી ન હોય તો અપસેટ પ્રાઈઝ નિયત કરીને આવા ફલેટસ ઓપન માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. જામનગરમાં આ પ્રયોગ શા માટે ન થઈ શકે ? અને બીજો મુદ્દો એ પણ છે કે, અમુક સાઈટ એવી હોય છે જયાં આવાસ ખરીદવામાં લોકોને બહુ રસ નથી હોતો, લોકોની ક્ષમતા પણ નથી હોતી, જેને પરિણામે ફલેટસ ખાલી પડયા રહેતાં હોય છે. આવા વિસ્તારોમાં કોર્પોરેશને એકદમ મર્યાદિત સંખ્યામાં આવાસો બનાવવા જોઈએ. અને કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાં આડેધડ આવાસ યોજનાઓ ખડકી દેતાં પહેલાં જરૂરી હોમવર્ક પણ કરવું જોઈએ, એવું જાણકારો કહી રહ્યા છે.