Mysamachar.in:જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ડહોળાઈ ચૂક્યું છે. રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં તો ઉનાળુ વરસાદ વરસી રહ્યો છે ! ખેડૂતો સહિતના સૌ ચિંતામાં છે અને બીજી બાજુ આ પ્રકારના વાતાવરણને કારણે રોગચાળો પણ વકરવા તરફ આગળ વધી રહ્યો છે.
હવામાન વિભાગે જે આગાહીઓ કરી છે તે અનુસાર, આજે 18 મી માર્ચે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં તથા કચ્છમાં ગમે ત્યાં માવઠું અથવા વરસાદ ત્રાટકી શકે છે. પવનની ગતિ તીવ્ર નોંધાઈ શકે છે. બીજી તરફ આગાહી એવી પણ છે કે, સોમવારે 20મી માર્ચે દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પણ માવઠું અથવા વરસાદ જોવા મળી શકે છે !
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચારેક દિવસ સુધી માવઠાંનો માર સહન કરવો પડી શકે છે. રાજ્યનાં 17 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી છે. જેમાં આજે 18 મી માર્ચે જામનગર, અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં ગાજવીજ અને પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે !
આ ઉપરાંત આગામી 20 મી માર્ચે સોમવારે દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથ, પોરબંદર, કચ્છ તથા રાજકોટ જિલ્લામાં વરસાદ વરસી શકે છે ! આ ઉપરાંત આવતીકાલે રવિવારે 19 મી માર્ચે પણ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આજે સવારથી સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાનાં અહેવાલ મળી રહ્યા છે. લોકો તથા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.