Mysamachar.in-જામનગરઃ
જામનગરની જાણીતી દિગ્જામ મીલના કર્મચારીઓને 10 મહિનાથી પગાર ન ચૂકવાતા કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. પગાર ન ચૂકવાતા આર્થિક ભીંસમાં આવેલા એક કર્મચારીની પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચર્ચા જાગી છે. દવા પીધા બાદ મહિલાને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, દિગ્જામ મીલના તમામ કર્મચારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને કંપની વિરુદ્ધ રોષ પ્રગટ કર્યો હતો. બનાવની વિગત પ્રમાણે દિગ્જામ મીલમાં કામ કરતાં આશિષભાઇ ચાંદ્રાની પત્ની રીટાબેને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, આપઘાત પાછળ પતિને કંપનીમાંથી છેલ્લા 10 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો ન હતો, જેના લીધે પરિવારમાં આર્થિક તંગી ઉભી થઇ હતી. ઝેરી દવા પી લેતા રીટાબેનને સારવાર અર્થે જી જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો ઘટના બાદ દિગ્જામ મીલના અન્ય કર્મચારીઓનો પણ રોષ ફાટી નીકળ્યો અને બધા જ કર્મચારીઓ જીજી હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.