Mysamachar.in:જામનગર
જામનગરમાં જીજી હોસ્પિટલનાં દરવાજાઓ સહિતનાં શહેરનાં વિવિધ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં રિક્ષાવાળાઓનો કેવો ત્રાસ છે ? તે અંગે એક સામાજિક કાર્યકર્તાએ ઉકળાટ ઠાલવ્યો છે અને ટ્રાફિક પોલીસ નગરજનોને આ કાયમી અને ભયાનક મુશ્કેલીમાંથી બચાવે એવી અપેક્ષા વ્યક્ત કરી છે. જામનગરમાં રહેતાં અનિલ ઠકરાર નામનાં જાણીતાં સામાજિક કાર્યકર્તાએ Mysamachar.in ને જણાવ્યું છે કે, શહેરમાં જીજી હોસ્પિટલનાં ગેઈટ સહિત છેક સ્વામી વિવેકાનંદ (ડીકેવી) સર્કલથી માંડીને અંબર ચાર રસ્તા, ત્રણબતી વિસ્તાર, જૂની દિપક ટોકીઝ, ખંભાળિયા ગેઈટ તથા જૂની પ્લોટ પોલીસચોકી નજીકનાં હોસ્પિટલ સહિતનાં વિસ્તારોમાં ખાસ કરીને સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી રિક્ષાવાળાઓનો બેફામ ત્રાસ જોવા મળે છે.
જેને કારણે આ તમામ વિસ્તારોમાં હજારો દર્દીઓ, રાહદારીઓ, વાહનચાલકો અને દુકાનોનાં ગ્રાહકો વગેરે ખૂબ જ પરેશાન થાય છે. વિવિધ પ્રકારની હાલાકીઓનો નગરજનોએ સામનો કરવો પડે છે. જામનગરની આ સૌથી જૂની અને સૌથી મોટી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ કયારે આવશે ? એવો પ્રશ્ન પૂછવા સાથે તેઓએ ટ્રાફિક પોલીસની કાર્યપદ્ધતિ અંગે સવાલો ખડાં કર્યા છે. અત્રે નોંધનીય છે કે, જીજી હોસ્પિટલના ગેઈટ નજીકની આ સમસ્યા અંગે નજીકમાં આવેલી પોલીસ ચોકી તથા પોલીસ સ્ટેશન અજાણ હોય તેવી સ્થિતિ જોવા મળે છે ! આ સ્થળે ટ્રાફિક નિયંત્રણ માટે કેટલાંક છોકરાઓ બેસાડવામાં આવે છે, જે મોટેભાગે બેઠાં જ હોય છે !