Mysamachar.in-રાજકોટઃ
માતાજીને ચડાવેલો કોઇપણ ભોગ આમ તો પ્રસાદ થઇ જતો હોય છે, સામાન્ય રીતે માતાજીને શ્રીફળ, સાકર જેવી વસ્તુઓ પ્રસાદમાં ધરવામાં આવતી હોય છે, પરંતુ શું તમને ખબર છે રાજકોટમાં 51 વર્ષથી સ્થાપિત જીવંતિકા માતાજીના મંદિરે પિત્ઝા, બર્ગર, દાબેલી, સેન્ડવિચ, પાણીપૂરી, ક્રિમરોલ, કોલ્ડ્રીંક્સ સહિતની ફાસ્ટફૂડની વસ્તુઓનો ભોગ ધરાવાય છે, આ મંદિરની સ્થાપના જયઅંબેલાલ દવે નામના ભક્તે કરી હતી, જયઅંબેલાલે પોતાની નોકરીમાંથી પૈસા બચાવી આ મંદિર બનાવ્યું હતું.
રાજકોટ શહેરમાં રજપૂતપરા વિસ્તારમાં આવેલા આ મંદિરમાં અનોખી રીતે માતાજીની સેવા કરવામાં આવે છે, જેમ કે સારી તિથિ દરમિયાન બટુક ભોજન કરાવવા આવતું હોય છે પરંતુ આ મંદિરે વિધવાઓને જમણવાર કરાવાય છે. એટલું જ નહીં મંદિરમાં દાનમાં મળતી રકમ સમાજમાં ગરીબ પરિવારો પાછળ વાપરવામાં આવે છે. જેમ કે મંદિરને ભક્તો તરફથી મળતા અન્ન-પૈસાના દાનને ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકોને વહેચી દેવામાં આવે છે. એક વખત દાતાએ મોટી રકમનું દાન કર્યું હતું. આ દાનની રકમમાંથી રેલવે સ્ટેશન પર મજૂરી કરતાં 40 જેટલા કૂલીઓને વસ્ત્રદાન સ્વરૂપે લાલ ડ્રેસ સીવડાવી અપાયો હતો. આમ અનોખી સેવા ભક્તિ માટે જીવંતિકા માતાજીના મંદિરે રાજકોટ શહેર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં સારી પ્રસિદ્ધિ મેળવી છે.તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ અહીં ઉમટી પડે છે.