Mysamachar.in:જામનગર
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચેરીટેબલ ટ્રસ્ટોની બોલબાલા છે. જે પૈકી કેટલાંક ટ્રસ્ટ કરોડોમાં આળોટે છે. કેટલાંક ટ્રસ્ટ ખોટી રીતે આવકવેરા વિભાગ હસ્તકની મુક્તિઓ પણ મેળવી લેતાં હોય છે, જેની સામે રાજ્ય સરકારની એજન્સીઓ ભાગ્યે જ પગલાં લ્યે છે. આપણે સૌ જાણીએ છીએ કે, સેંકડો શાળા-કોલેજો પ્યોર બિઝનેસ કરતી હોય છે. ઉંચી ફી વસૂલતી હોય છે. મેનેજમેન્ટ પોતે કરોડપતિ અથવા અબજોપતિ હોય છે. આવી શૈક્ષણિક સંસ્થાઓ આવકવેરાની વિવિધ કલમો હેઠળ કરમુક્તિ કે આંશિક કરમુક્તિનાં લાભો પણ અંકે કરી લેતી હોય છે. તેઓ સૌ નામ રૂપાળાં રાખે છે.ઘણી હોસ્પિટલ પણ આ રીતે ચાલતી હોય છે.કેટલાંક રમતગમત એસોસિએશન તથા કલબો પણ આ રીતે સંચાલિત થતી હોય છે. જેઓનો એકમાત્ર હેતુ કરરાહતો મેળવી લેવાનો હોય છે. આ પ્રકારની સંસ્થઓ સ્થાનિક ચેરિટી કચેરીઓને પણ ખિસ્સામાં રાખીને ધમધમતી રહે છે.
આવકવેરા વિભાગનાં અધિકારીઓ સાથે ઘરોબો કેળવી લેતાં હોય છે. અને આ રીતે સરકારની તિજોરીમાં નુકસાન પહોંચાડે છે. આવી સંસ્થાઓ થાબડભાણાનો ગેરફાયદો ઉઠાવતી હોય છે. સરકારે આવકવેરા તંત્રની આવક વધારવા આવી સંસ્થાઓ પર બારીક નજર રાખવી જોઈએ એ પ્રકારના ઉહાપોહ પછી હવે તંત્રોએ આ દિશામાં ધ્યાન આપવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં આ કાર્યવાહીઓ તેજ બનશે, એવું સમજાઈ રહ્યું છે.