Mysamachar.in:જામનગર
જામનગરમાં નવાગામઘેડ વિસ્તારમાં એક કરૂણાંતિકા સર્જાઈ હોવાનું આજે સવારે જાહેર થતાં સમગ્ર વિસ્તારમાં લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને આ પરિવારમાં સૌ હીબકાં ભરી રહ્યા છે. આ પરિવારની સૌથી મોટી દીકરીનાં હાથ પીળાં થાય એ પહેલાં દીકરીની આંખોમાં લોહી ઉતરી આવ્યું છે. આ કમભાગી દીકરીએ બાપ ગુમાવ્યો ! આવતીકાલે ચૌદ તારીખે જે આંગણામાં દીકરીનાં લગ્નનાં ઢોલ ધ્રબૂકવાનાં હતાં ત્યાં, ચોવીસ કલાક અગાઉ રોકકળ શરૂ થઈ ગઈ છે !! આ કરૂણ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર, નવાગામઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દિરા કોલોની નજીકની મધુવન સોસાયટીમાં આ બનાવ બન્યો છે. આજે સવારે રાઠોડ પરિવારનાં એક છોકરાએ એવું દ્રશ્ય નિહાળ્યું કે તેની આંખો ફાટી રહી ગઈ !
રાઠોડ પરિવારની સૌથી મોટી દીકરીનાં આવતીકાલે મંગળવારે લગ્ન હતાં. મંગળવારે આ દીકરી મંગળ ફેરા ફરવાની હતી, અને આજે સોમવારે સવારે આ દીકરીને ખબર પડી કે, બાપ સૌને મૂકી અંતિમ સફરે જતો રહ્યો ! સમગ્ર રાઠોડ પરિવાર હીબકે ચડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આવતીકાલે સવારે જામનગર નજીકના સિક્કા ખાતેથી આ પરિવારમાં જાન આવવાની હતી. પરિવારની ત્રણ દીકરીઓ(અને એક સૌથી નાનો ભાઈ) પૈકી સૌથી મોટી દીકરીનાં આવતીકાલે લગ્ન હતાં. અને આજે સવારે જાહેર થયું કે, આ કમભાગી દીકરીનાં પિતા નરોત્તમભાઈ છગનભાઇ રાઠોડ(ઉંમર આશરે 50 વર્ષ) એ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી !
તેઓનાં મોતનું કારણ જાણી શકાયું નથી. કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. આ રાઠોડ પરિવાર ગાયત્રીચોક સામે જ્યાં રહે છે ત્યાંથી આઠદસ મકાન દૂર એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. આ બંધાઈ રહેલાં મકાનમાં આજે સવારે કોઈ ન હતું. દરમિયાન આ રાઠોડ પરિવાર નો એક છોકરો ત્યાંથી નીકળ્યો ત્યારે તેને જોવા મળ્યું કે તેમનાં જ પરિવારના નરોત્તમભાઇનું શરીર ગળાફાંસાની સ્થિતિમાં દોરડે લટકી રહ્યું છે ! તેણે આ અંગે પરિવારને જાણ કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું. જ્યાં ઢોલ ધ્રબૂકવાનાં હતાં ત્યાં અત્યારે હૈયાફાટ રુદન ચાલી રહ્યા છે ! પરિવારની સૌથી મોટી દીકરીનાં હાથ પીળાં થાય એ પહેલાં જ માતાના સેંથાનો સિંદૂર ભૂંસાઈ ગયો ! આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. નરોત્તમભાઇનાં મૃતદેહનો કબજો લઈ પોલીસે પોસ્ટ મોર્ટમ વગેરે વિધિ હાથ ધરી છે અને આ આત્મહત્યા નું કારણ જાણવા પ્રયાસો શરૂ કર્યા છે. અત્યારે આ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.