Mysamachar.in:જામનગર
જામનગરમાં ટ્રાફિક મેનેજમેન્ટ વર્ષોથી ખામીભર્યું રહ્યું છે. વહીવટીતંત્ર, પોલીસવિભાગ કે કોર્પોરેશન- આ મુદ્દે કયારેય ગંભીરતા દાખવી શક્યા નથી જેને કારણે હજારો નગરજનોએ પરેશાનીઓ વેઠવી પડે છે ! તાજેતરમાં મેળાઓ દરમિયાન પણ આમ બન્યું ! જવાબદારો મેળાઓ માણતાં રહ્યા, વેકેશન એન્જોય કરતાં રહ્યા અને બીજી તરફ હજારો નગરજનો તહેવારો દરમિયાન ભયાનક ટ્રાફિક જામની હાલાકીઓ વેઠતાં રહ્યા ! સર્વત્ર જંગલરાજ !
તહેવારો દરમિયાન ખાસ કરીને ગુરુદ્વારા ચાર રસ્તા, અંબર ચાર રસ્તા, સાત રસ્તા અને વાલ્કેશ્વરનગરીના રસ્તાઓ પર ભયાનક ટ્રાફિક જામ રહ્યા. કયાંય કોઈ ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ સુંદર ટ્રાફિક નિયમન કર્યું નહીં, કોઈ જ અધિકારીઓએ તહેવારો દરમિયાન ધ્યાન ન આપ્યું. પરચૂરણ છોકરાઓ ટ્રાફિક મેનેજમેન્ટ કરતાં રહ્યા ! જેઓને વારાફરતી સાઈડ ખોલવા જેટલી સામાન્ય ગતાગમ પણ નથી હોતી ! રસ્તાઓ બંધ અને ચાલુ જેવા જાહેરનામાઓ ઘડતાં વહીવટીતંત્ર, પોલીસ અને કોર્પોરેશન- તહેવારો દરમિયાન ભારે ટ્રાફિક મેનેજમેન્ટ સંબંધે માસ્ટર પ્લાન બનાવવામાં પણ નાકામ રહ્યા જેને લઈને નગરજનોમાં ભારે રોષ અને નારાજગીઓ જોવા મળી.