Mysamachar.in:જામનગર
હોળી જતી રહી છે. ઉનાળાનાં આકરાં દિવસો શરૂ થઈ રહ્યા છે. ફ્રીઝમાંથી ઠંડા પીણાની મોજ માણતાં રહીશું કે પછી, AC ની ઠંડકમાં બેઠકખંડમાં કે ઓફિસ કે પછી બેડરૂમમાં પગ લાંબા કરીને બેઠાં રહીશું તો – જામનગરને નવું બસપોર્ટ નહીં મળે ! એવું દેખાઈ અને સમજાઈ રહ્યું છે ! નગરજનોએ નવાં બસપોર્ટ મુદ્દે ધૂણો ધખાવવો જ પડશે એવું લાગે છે !
જામનગરનું બસ સ્ટેન્ડ દાયકાઓ જૂનું છે. જર્જરિત હાલતમાં છે. જોખમી છે. કમાણી કરે છે. અને આપણાં જનપ્રતિનિધિઓ પણ વારેવારે સરકારને હાથ જોડીને વિનંતી કરે છે ! છતાંય સરકાર જામનગરનાં જનપ્રતિનિધિઓની તથા મતદારોની લાગણીઓ અને માંગણીને સમજવા, ધરાર તૈયાર નથી ! રવિવારે વાહન વ્યવહાર મંત્રી જામનગરમાં હતાં તો પણ, જામનગરને નવાં બસપોર્ટ મુદ્દે સ્પષ્ટ રીતે કોઈ જ જાહેરાત કરવામાં આવી નહી ! શણગારેલી બસો જોવા પૂરતો હરખ સૌએ કર્યો ! ખંઢેર બસડેપો અને શણગારેલી બસો ! કેવું કજોડું ?!
આ વાત અત્રે ફરીથી યાદ એટલાં માટે અપાવવામાં આવી છે કેમ કે, રાજકોટમાં ટનાટન બસપોર્ટ પછી, બીજું નવું નક્કોર બસ સ્ટેન્ડ બની ગયું. કરોડો રૂપિયાનો ખર્ચ પણ થયો. પરંતુ તેની સામે રાજકોટનાં નાગરિકોને વધારાની એક સુવિધા ઉપલબ્ધ બની. ભાવનગર રોડ પર નવું સેટેલાઈટ બસ સ્ટેન્ડ તૈયાર થયું. લોકોએ હવે મુખ્ય બસપોર્ટ સુધી લાંબા નહીં થવું પડે. અને, જામનગરમાં એક બસ પોર્ટ નાં પણ ઠેકાણાં નથી !!!
નગરજનોએ સુવિધાઓ હાંસલ કરવા મિજાજ બદલવો પડશે. ઘૂઘરા અને ગાંઠિયાની મોજ માણવા સાથે સાથે શહેર માટે પણ કાંઈક વિચારવું પડશે. નહીંતર ખખડધજ બસ સ્ટેશન પર ગાંઠિયા જ ખાતાં રહીશું !! રાજકોટમાં એસટીની જ જગ્યામાં રૂ. સાડા ચાર કરોડનાં ખર્ચે નવું બસ સ્ટેન્ડ બની ગયું અને કાર્યરત પણ થઈ ગયું ! અને, જામનગરમાં નગરજનો હજુ નવાં બસપોર્ટ મુદ્દે બગાસાં ખાતાં માત્ર વાતો જ કરી – સાંભળી રહ્યા છે ! નગરજનોએ હવે મિજાજ બદલવો પડશે. રાજયભરની સરકારી બસોનું જામનગરમાં લોકાર્પણ કરી, નગરજનોને મૂળ વાત, મૂળ માંગ ભૂલાવી દેવામાં આવી !!