Mysamachar.in-જામનગર
આજનો સમય ઝડપી યુગ છે, દરેક કામોમાં લોકોને ઝડપ જોઈએ છે, એવામાં આપણે કોઈ અગત્યના કામો પર જતા હોય અને વચ્ચે રેલ્વે ફાટક બંધ હોય તો મીનીટોનો સમય તેમાં ચાલ્યો જાય છે, પણ જામનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારની ફાટક મુક્ત શહેરોની નેમ સાકાર થઇ રહી હોય તે દિશામાં ઓવરબ્રીજ અને અન્ડરબ્રિજના નિર્માણકાર્યો જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે.તે તમામમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ સુભાષબ્રીજથી સાતરસ્તા સર્કલ સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવરબ્રીજનું કામ હાલ ચાલી રહ્યું છે, અને આગામી બે ત્રણ વર્ષ આ કામને લાગશે,
એવામાં જામનગરને તાજેતરમાં જ વધુ એક ભેટ રાજયસરકારે આપી છે, જેમાં શહેરના ત્રણ અલગ અલગ સ્થળોએ બે ઓવરબ્રીજ અને એક અન્ડરબ્રીજના પ્રોજેક્ટને મંજુરી આપવામાં છે, જે નિર્માણ પામતાની સાથે જ શહેર ફાટક મુક્ત બની જશે તે વાત નિશ્ચિત બનશે.. આ સાથે શહેરની ટ્રાફિક સમસ્યા તો હળવી થશે સાથે જ શહેરના લોકોની સુવિધામાં વધારો થશે શહેરની શોભામાં વધારા સાથે લોકોનો કીમતી સમય પણ વેડફાતો અટકશે તેવું મનપાના નિષ્ણાત અધિકારીઓનું માનવું છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જામનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને એક રેલ્વે અંડરબ્રીજ જામનગર બનાવવા માટે જામનગર મનપાની પ્રોજેક્ટ અને પ્લાનીગ શાખા દ્વારા પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કરી રાજ્ય સરકારમાં મુકવામાં આવેલ બે દરખાસ્તોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, એટલે આ એક પ્રકારનું ગ્રીન સિગ્નલ છે, આગામી સમયમાં આ અંગેની વિધિવત કાર્યવાહી થયા બાદ આગળની તમામ કાર્યવાહીઓ મનપા દ્વારા કરવામાં આવશે.
રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે, જામનગર શહેરમાં હાપા માર્કેટ યાર્ડ નજીક અને વિજયનગર સૈનિક ભવન એટલે કે ગોકુલનગર જકાતનાકાથી સમર્પણ હોસ્પિટલ તરફ જતા રસ્તા પર રેલવે ઓવરબ્રિજ તથા નાઘેડી રોડ નજીક રેલવે અંડરબ્રિજ આગામી વર્ષોમાં નિર્માણ પામે તે માટેનો સૈધાંતિક સ્વીકાર થયો છે,
આ અંગે વધુ વિગતો આપતા મહાનગરપાલિકાની પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના કાર્યપાલક ઇજનેર ભાવેશ જાનીએ જણાવ્યું કે મનપાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ કમિશ્નર વિજયકુમાર ખરાડી, સીટી ઈજનેર એસ.એસ.જોશી સાથે સંકલન કરી તેનું માર્ગદર્શન મેળવી શહેરની શોભા અને સુવિધા વધે તે માટેના આ પ્રોજેક્ટ છે. જયારે આ ત્રણ પ્રોજેક્ટ પુરા થશે બાદ જામનગર શહેરની લગત વિસ્તારોની આશરે બે લાખની જનતાને તેનો સીધો લાભ મળશે. આ ઉપરાંત બહારગામના વાહનચાલકો પણ મોટી સંખ્યામાં રાહત અનુભવશે અને આ રીતે શહેર ફાટકમુક્ત અને ટ્રાફિકમુક્ત થઇ જશે અને લોકોની સુવિધામાં ખરા અર્થમાં વધારો થશે.
જે ત્રણ મહત્વના પ્રોજેક્ટ લેશે આકાર…તેની ટેકનીકલ માહિતી છે આવી..રેલ્વે ક્રોસિંગનું નામ
*અન્નપુર્ણા ચોકડીથી રાજકોટ રોડ પર હાપા માર્કેટિંગ યાર્ડ પાસે ટુ-લેન ઓવરબ્રીજના બંને બાજુના એપ્રોચીસ બનાવવાનું કામ (લેવલ ક્રોસિંગ નંબર 188), એપ્રોચ પોર્શન:રૂા. 32.40 કરોડ, રેલ્વે પોર્શન:9.84 કરોડ, કુલ: 42.34 કરોડ, લંબાઈ-814 મીટર પહોળાઈ-7.50 મીટર ઊંચાઈ-8.30 મીટર, સમય તથા ઇંધણની બચત થશે.
*સમર્પણ સર્કલથી વિજયનગર જકાતનાકા પર સૈનિક ભવન પાસે ટુ-લેન ઓવરબ્રીજના બંને બાજુના એપ્રોચીસ બનાવવાનું કામ. (લેવલ ક્રોસિંગ નંબર 201), એપ્રોચ પોર્શન:રૂા.33.48 કરોડ, રેલ્વે પોર્શન: રૂા.5.60 કરોડ, કુલ: રૂા.39.08 કરોડ, લંબાઈ-709 મીટર પહોળાઈ-7.50 મીટર ઊંચાઈ-8.30 મીટર, રેલ્વે ફાટક બંધ થવાથી થતી લાંબી કતારોમાંથી મુક્તિ મળશે.
*વિજયનગર જકાતનાકાથી નાઘેડી બાયપાસ રોડ પર હિન્દુસ્તાન એનિમલ ફીડ પાસે ફોર-લેન અન્ડરબ્રીજ બનાવવાનું કામ. (લેવલ કોસિંગ નંબર 202), રૂા.19.60 કરોડ, લંબાઈ-422 મીટર પહોળાઈ-13.20 મીટર ઊંચાઈ-5.00 મીટર, પ્રદૂષણમાં ઘટાડો થશે.જામનગર શહેરની અંદાજિત 2.50 લાખ વસ્તીને લાભ થશે.