Mysamachar.in:જામનગર
જામનગર સહિત સમગ્ર રાજયમાં બોગસ GST રજિસ્ટ્રેશન અને તેના માધ્યમથી કુંડાળા, સરકાર માટે બહુ મોટો પડકાર છે. આ પડકારને પહોંચી વળવા એક નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. જો કે, આ સુવિધાઓ જામનગરને આપવામાં આવી ન હોય, હાલ સ્થિતિ સત્તાવાર જાહેર થઈ નથી. બોગસ GST રજિસ્ટ્રેશનમાં એવા લોકોના નામે નંબર મેળવી લેવામાં આવે છે જેઓ ખરેખર તો ધંધાર્થીઓ હોતાં જ નથી. પછી આ નંબર પર બેનંબરનો ખેલ શરૂ થાય. અને સરકારને ચૂનો ચોપડવામાં આવે છે. ક્રેડિટ કૌભાંડમાં આ મોડસ ઓપરેન્ડીનો વ્યાપક ઉપયોગ થાય છે જેથી તંત્ર ખરાં કસૂરવાર સુધી વિલંબથી પહોંચે છે. ત્યાં સુધીમાં તો ખેલ પૂરો થઈ ગયો હોય છે !
હવે તમે GST રજિસ્ટ્રેશન મેળવવા ઈચ્છશો તો તમારે વેરિફિકેશન માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાંથી પસાર થવું પડશે. બીજા લોકોની ઓળખનો ઉપયોગ કરીને ઘણાં લોકો GST રજિસ્ટ્રેશન નંબર મેળવી લેતાં હોય છે. તેઓને આ તબકકે જ અલગ તારવી મૂકવા GST કાઉન્સિલ તથા કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા આ નવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. આ માટે ગુજરાતમાં એક ડઝન સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરુ કરવામાં આવ્યા છે. જેમાં જામનગરનો સમાવેશ નથી. જૂનાગઢ અને રાજકોટનો સમાવેશ છે. તો શું જામનગરના ધંધાર્થીઓએ રજિસ્ટ્રેશન માટે રાજકોટ જવાનું ? કે જૂનાગઢ ? જે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી !
રજિસ્ટ્રેશન પ્રોસેસમાંથી OTP નીકળી જશે અને વેરિફિકેશન માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાંથી તમારે પસાર થવાનું રહેશે. જેમાં આધારકાર્ડ પણ જોડવાનું રહેશે. સુવિધા કેન્દ્ર ખાતે આ પ્રોસેસ ચાલી રહી હશે ત્યારે ધંધાર્થીઓએ કેન્દ્રમાં પોતાના તમામ દસ્તાવેજ વેરિફિકેશન કરાવી લેવાના રહેશે. અને બાદમાં સિંગલ વિન્ડો કલીયરન્સ મારફતે ધંધાર્થીઓને રજિસ્ટ્રેશન નંબર ફાળવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વર્ષે આધાર-GST કૌભાંડ ભાવનગર ખાતેથી ઝડપાઈ ગયું છે જેનો ટોટલ આંકડો રૂપિયા 20,000 કરોડ આસપાસ હોવાનું બહાર આવ્યું છે ! કૌભાંડી તત્વોએ ઘણાં અજાણ લોકોના મોબાઈલ નંબર અને આધારકાર્ડનો દુરુઉપયોગ કરી, OTP મેળવી લઈ, આ તોતિંગ કૌભાંડને આકાર આપ્યો હતો. અને આંકડો આટલો તોતિંગ બની ગયો ત્યાં સુધી કૌભાંડ ધમધમતું રહ્યું ! એ પણ અચરજ લેખી શકાય.
રાજયના GST વિભાગના એક ઉચ્ચ અધિકારી કહે છે, આધારકાર્ડ બેઈઝડ આ આખી વ્યવસ્થાને ક્ષતિઓ વિનાની એટલે કે પરફેક્ટ બનાવવા OTP સિસ્ટમ આ વ્યવસ્થામાંથી દૂર કરવામાં આવી છે અને હવે માત્ર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જ કરવામાં આવશે જેની સાથે આધારકાર્ડ લિંક થશે, એટલે રજિસ્ટ્રેશન નંબર પ્રાપ્ત કરનારની સંપૂર્ણ વિગતો સરકારમાં જમા થઈ જશે.