Mysamachar.in-જામનગર:
પોતાનું સંતાન LKG અને UKGમાં હોય છે ત્યારે હજારો વાલીઓ થનગનતા હોય છે કે, આપણું સંતાન હમણાં સ્કૂલ સુધી પહોંચી જશે. પરંતુ આગામી શૈક્ષણિક સત્ર વખતે જૂનમાં જામનગર સહિત રાજ્યભરમાં એક અલગ પ્રકારની સ્થિતિ પેદાં થશે ! UKGના હજારો બાળકો ધોરણ એક માટે સ્કૂલનાં પગથિયાં ચડી શકશે નહીં ! સેંકડો શાળાઓમાં ધોરણ એક નાં વર્ગો ખાલી રહેશે ! કારણ કે- આગામી જૂનથી એ નિયમ અમલી બની રહ્યો છે કે, જે બાળકને છે વર્ષ પૂર્ણ થયાં હોય એ બાળકને જ ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે. જેને કારણે હજારો બાળકોએ સ્કૂલના ઈંતજારમાં વધુ એક વર્ષ એમને એમ વેડફી નાંખવું પડશે !
કાયદાની આ જોગવાઇ આમ તો છેક 2009માં રાઈટ ટુ એજ્યુકેશન કાયદો ઘડાયો ત્યારે જ જાહેર થઈ હતી. પરંતુ તે પછી, અગિયાર વર્ષ સુધી ગુજરાતનાં શિક્ષણ વિભાગે આ જોગવાઈ સ્વીકારી નહીં ! 2020 માં સ્વીકારી. અને, હવે 2023 જૂનથી શરૂ થનાર નવા શૈક્ષણિક સત્રથી આ જૂની જોગવાઈનો અમલ થશે. રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં શિક્ષણ અધિકારીઓને આ પરિપત્ર બે મહિના પહેલા જ પાઠવી દીધો છે.