Mysamachar.in- અમદાવાદ:
સોનું ભારતમાં કાયમ ચર્ચાનો વિષય રહ્યું છે. ભારતમાં સોનું 3 રીતે આવી રહ્યું છે. એક: 6 ટકા આયાત જકાત ચૂકવીને, બે: ધૂમ દાણચોરીથી અને ત્રણ: અન્ય રસાયણ સાથે સંયોજનના રૂપમાં, આયાત જકાત મુક્તિનો લાભ લઈ સોનાની આયાત અને બાદમાં આ રસાયણમાંથી રિફાઈનરી મારફતે સોનું અલગ કરી લેવું. આ ત્રીજો વિકલ્પ સીધી દાણચોરી નથી, નિયમની છટકબારીનો લાભ લઈ કરવામાં આવતી ‘કાયદેસર’ની દાણચોરી છે અને આ રીતે ભારતમાં દર મહિને હજારો કિલો સોનું આવી રહ્યું છે, સરકાર જકાત ગુમાવે છે પરંતુ આયાતકારોને સોનું કાયદેસર રીતે મળી જાય છે ! અહીં પ્રશ્ન એ થઈ શકે કે, નિયમની આ ‘છટકબારી’ કોના લાભાર્થે આજની તારીખે પણ અમલમાં છે ?!
એ કેવું કહેવાય કે, તમને જો નિયમની છટકબારીનો લાભ લેવાની કળાની જાણકારીઓ ન હોય અને તમારે જો દાણચોરી કરવી ન હોય તો, તમારે સોનાની આયાત પર 6 ટકા જકાત આપવી પડે.પરંતુ જો તમે કાયદાની છટકબારી જાણતા હો તો, આયાત જકાત ભર્યા વગર સોનું ‘આયાત’ કરી શકો ! આ રીતે હજારો કિલો સોનું કાયદેસર રીતે દેશમાં આવી રહ્યું છે. આ છટકબારી ઉપલબ્ધ હોવા છતાં જે લોકો આયાત જકાત ભરીને સોનું મોંઘા ભાવે ખરીદી રહ્યા છે, તેઓ જાણે કે ‘ભૂલ’ કરી રહ્યા છે- એવો ઘાટ છે, આ સોનાના ધંધામાં !
-કેવી રીતે અને કેટલું સોનું આ રીતે ભારતમાં આવે છે ?…
નિયમની છટકબારીનો લાભ લઈ તમે સોનું અન્ય રાસાયણિક તત્ત્વો કે સંયોજન સાથે, વિદેશોમાંથી સોનાની આયાત જકાત ભર્યા વગર આયાત કરી શકો છો. આરબ દેશો, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આ સોનું ભારતમાં ચિક્કાર પ્રમાણમાં ઠલવાઈ રહ્યું છે. ભારતમાં આવ્યા બાદ આ સંયોજનમાંથી ધંધાર્થીઓ સોનું અલગ કરી લ્યે છે. આ પ્રકારની આયાત 10 ગણા જેટલી વધી ગઈ છે. માત્ર 3 જ મહિનામાં, ગત્ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં આ રીતે ભારતમાં 69,879 કિલો સોનું ઘૂસાડી દેવામાં આવ્યું ! આ આંકડા ખુદ સરકાર આપે છે !
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતા ખુદ કહે છે: આ કારણથી કેટલાંક ધંધાર્થીઓ સસ્તું સોનું વેચી શકે છે અને તેથી જકાત ભરીને સોનું આયાત કરનાર ધંધાર્થીઓ બજારમાં ટકી શકતા નથી, કારણ કે તેમની સોનાની પડતર ઉંચી હોય છે. નવાઈ તો એ વાતની પણ છે કે, આવી અન્ય રસાયણ સાથે સોનાની આયાત કરવામાં પરમિટની પણ જરૂર નથી, કોઈ પણ વ્યક્તિ સીધી જ આયાત કરી શકે, અમુક દેશોમાંથી આવતા આ રસાયણોની આયાતમાં બેઝિક ડ્યૂટી પણ આપવાની થતી નથી. આથી પાછલાં ચારેક વર્ષ દરમ્યાન આવી ‘આયાત’ના શીપમેન્ટમાં 95 ટકાનો તોતિંગ વધારો થયો છે. લોકો ભલે કહે, સોનાની આયાત ચોક્કસ માત્રામાં થઈ રહી છે પણ હકીકત એ છે કે, આ અન્ય માર્ગે પુષ્કળ સોનું ભારતમાં આવી રહ્યું છે- એમ એક બેંક અધિકારી જણાવે છે.