Mysamachar.in:જામનગર
જામનગરનો શ્રાવણી લોકમેળો આ વર્ષે બરાબરનો ઘૂમરીએ ચડી ગયો છે ! શ્રાવણ મહિનાનાં આઠ-આઠ દહાડા વીતી ગયા પછી પણ કોઈ છાતી ઠોકીને બોલી શકવાની સ્થિતિમાં નથી કે, મેળાઓ ચાલુ કયારે થશે ?! સૌ દોડે છે પરંતુ કોઈ આગળ વધતું નથી ! જાણે કે સૌ જિમમાં દોડી રહ્યા છે, અરીસામાં જોઈને. જામનગરનાં તાજિયાની માફક જામનગરનાં લોકમેળાઓ પણ પ્રખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્રનાં લોકોને જામનગરનો મેળો એક વખત માણવાની તમન્ના હોય છે. પરંતુ રહસ્યમય કહી શકાય તેવી સ્થિતિ આ વર્ષે જોવા મળી રહી છે ! કોર્પોરેશન SDM કચેરીની લીલીઝંડીની રાહ જોઈ રહ્યું છે અને SDM કચેરી મેળાઓ મુદે શું કરી રહી છે ?! તેનો જવાબ કયાંય જાહેર થતો નથી !
મેળાઓનાં ધંધાર્થીઓએ હજુ સુધી પર્ફોમન્સ લાયસન્સ શા માટે મેળવ્યા નથી ?! SDM કચેરીએ હજુ સુધી પર્ફોમન્સ લાયસન્સ ઇસ્યુ શા માટે નથી કર્યા ?! આ પરવાનાઓ મેળવવામાં કયા કયા દસ્તાવેજો ખૂટે છે ? દસ્તાવેજો શા માટે ખૂટી રહ્યા છે ? મામલો શા કારણોથી ગૂંચવાયો છે ? SDM કચેરી આ મામલામાં ગોકળગાય ગતિએ શા માટે ચાલી રહી છે ?! SDM કચેરીમાંથી મેળાઓ માટે જમીનનો કબજો મેળવી લેનાર, નાણાં ભરી આપનાર તથા ધંધાર્થીઓ પાસેથી નાણાં લઇ તિજોરીમાં જમા કરી લેનાર કોર્પોરેશન હાલ મેળાઓ મુદે શાંત છે. અને જયાં સુધી પર્ફોમન્સ લાયસન્સ નહીં આવે ત્યાં સુધી મેળાઓ શરૂ થવા દેશે નહીં એવું કોર્પોરેશન નકકી કરી ચૂકયું છે.
બીજી તરફ SDM કચેરીએ પણ એવું નકકી કરી લીધું છે કે જયાં સુધી તમામ દસ્તાવેજો આવે નહીં ત્યાં સુધી ધંધાર્થીઓને પર્ફોમન્સ લાયસન્સ આપવા જ નથી. દુર્ઘટના સર્જાય તો જવાબદારીઓ કોની ?! આમ આ વખતે બરાબરનો ગૂંચવાડો જોવા મળી રહ્યો છે. લોકોને મેળાઓનો ઈંતજાર છે. ધંધાર્થીઓ લીલીઝંડીની રાહ જૂએ છે. કોર્પોરેશન બીજી વખત ઉદઘાટન કાર્ડ જાહેર કરવા આતુર છે. બીજી તરફ SDM કચેરી ધીમી ગતિએ આગળ વધી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. જેને કારણે સમજાઈ રહ્યું છે કે, મેળાઓનું હજુ કાંઈ ઠેકાણું પડયું નથી !!!