Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા હસ્તક શહેરમાં અનેક વિકાસકામો ચાલુ છે, અને આ કામો શહેરની શોભામાં તો વધારો કરશે જ સાથોસાથ લોકોને શહેરી સુવિધાઓનો અહેસાસ પણ કરાવશે…આવો જ એક મહત્વાકાંક્ષી કહી શકાય તેવો પ્રોજેક્ટ દિગ્જામ સર્કલ રેલ્વે ફાટક પર ઓવરબ્રીજનો ચાલી રહ્યો છે, આ બ્રિજની 60% થી વધુ કામગીરી પૂર્ણ થઇ ચુકી છે, જયારે બાકીનું કામ હાલ ચાલી રહ્યું આ બ્રીજ કાર્યરત થતા 1 લાખ લોકોને તેનો સીધો જ રોજીંદો લાભ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે વધુમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના ફાટક મુક્ત શહેરની દિશામાં વધુ એક પગલું જામનગરમાં હશે..અને વધુ એક વિસ્તાર ફાટક મુક્ત થશે અને લોકો વાહનચાલકો સીધા જ જે-તે સ્થળે વિના વિલંબે પહોચી શકશે….આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જામનગર મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીએ મુલાકાત લીધી તે વેળાએ સીટી ઈજનેર શૈલેશ જોશી, પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની પણ સાથે રહ્યા હતા અને કામના પ્રોગ્રેસ અંગે કમિશ્નર વિજયકુમાર ખરાડીને સ્થળ પર જ માહિતી આપી હતી તો કમિશનરે પણ કામને લઈને જરૂરી સૂચનો કર્યા હતા,જે બાદ આ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપતા પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના ભાવેશ જાનીએ જણાવ્યું કે શહેરના ધારાસભ્યો, સાંસદ, અને મનપાના પદાધીકારો તો સાથે જ સંગઠન પાંખ અને અધિકારીઓના પ્રયાસથી આ પ્રોજેકટ મંજુર થયા બાદ કામગીરી હાલ પુરપાટ ઝડપે ચાલી રહી છે, દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ ઉપર રેલ્વે ઓવરબ્રીજનું કામ હવે પુરઝડપે ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 60 ટકાથી વધુ કામ પુર્ણ થઇ ચુક્યું છે, રૂા. 23.84 કરોડની અંદાજીત રકમ છે, આવનાર દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ થવાનો અંદાજ છે, આ સ્થળ પર ઓવરબ્રીજ બનાવવાનો મુખ્ય ઉદેશ દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ ઉપર જવું હોય તો વચ્ચેના ભાગમાં રેલ્વે ફાટક આવતુ હોય વાહનચાલક અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, આ પ્રોજેકટના કન્સલ્ટન્ટ તરીકે અમદાવાદના પંકજ એલ. પટેલ અને આ કામના કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશન (ભરૂચ)ના છે. હાલમાં આ કામનો ફીઝીકલ પ્રોગ્રેસ 65 ટકા અને ફાઈનાન્સીયલ પ્રોગ્રેસ 60 ટકા છે, રેલ્વેની મોટાભાગની મંજુરીઓ પુરી થઇ ચુકી છે, રેલ્વે ઓવરબ્રીજની કુલ લંબાઇ 601 રનીંગ મીટર (રેલ્વે બાઉન્ડ્રી સહીત છે) જયારે રેલ્વે પોર્સનની લંબાઇ 76 મીટર છે, જયારે બ્રીજની પહોળાઇ 7.50 મીટર ટુ લેન બ્રીજ 7.45 મીટર આરસીસી ક્રેશ બેરીયર બંને બાજુ છે. જ્યારે બ્રીજની કલીયર ઉંચાઇ 8.30 મીટર રાખવામાં આવી છે.
રેલ્વે બ્રીજની બન્ને બાજુ એપ્રોચીસ બનાવાશે, આ બ્રીજ તૈયાર થવાથી રીંગરોડ બાદ વિકરોલા દ્વારકાધીશ રેસીડેન્સી, રવિપાર્ક, નીલકંઠ ધામ, બાલાજી પાર્ક તેમજ અન્ય સોસાયટી થઇને કુલ એક લાખ જેટલા લોકોને જામનગર શહેર સાથે સીધી કનેકટીવીટી મળશે, અને અવાર નવાર રેલ્વે ફાટક પાસે વાનોની થતી કતાર પણ બ્રીજ બન્યા બાદ જોવા નહીં મળે.અને રાજ્ય સરકારનું ફાટક મુક્ત ગુજરાતની દિશામાં વધુ એક સ્વપ્ન સાકાર થશે તેમ વાતચીતના અંતે જણાવ્યું હતું.
-શહેર માટે હજુ 2 ઓવરબ્રીજ અને 1 અન્ડરબ્રિજની દરખાસ્ત સરકારમાં મુકાઈ છે:ભાવેશ જાની:કાર્યપાલક ઇજનેર
દિગ્જામ સર્કલ ઉપરાંત શહેરના વિકાસના આગામી વર્ષોમાં થનાર કામો અંગે વધુ વિગતો આપતા પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાનીએ કહ્યું કે અમારા વિભાગ દ્વારા શહેરના હાપા માર્કેટિંગ યાર્ડ નજીક રેલ્વે ફાટક પાસે ઓવરબ્રીજ, સમપર્ણથી જકાતનાકા તરફના વિસ્તાર પર રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ અને સમર્પણથી નાઘેડી વિજયનગર તરફ ફોર લેન અન્ડરબ્રીજ માટેની દરખાસ્ત સરકારમાં સાદર કરાઈ છે, અને સરકારમાં મંજૂરીના સ્ટેજ પર છે જેમાંથી પ્રાયોરીટીના ધોરણે સરકાર પ્રથમ હાપા માર્કેટિંગ યાર્ડના ઓવરબ્રીજ માટે આ વર્ષમાં મંજુરી આપશે તેવી ધારણા છે.