Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ પોતાનાં હસ્તકની શાળાઓમાં શિક્ષણ મુદ્દે શું ઉકાળે છે.? તેનો જવાબ સૌને ખબર છે ! વારતાઓ પ્રકારના નિવેદનો અને પ્રશંસાચાલીસાઓ કેટલી પોકળ હોય છે, એ મુદ્દો એક કરતાં વધુ વખત પૂરવાર થયાં પછી પણ શિક્ષણ સમિતિ ‘હવા’ માં ઉડવાની આદત ધરાવે છે ! શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર એક, ગત્ વર્ષે લાલવાડી વિસ્તારમાં ખુલ્લી મૂકવામાં આવે ત્યારે સૌએ સુવિધાઓના મુદ્દે પ્રશંસાનાં પુષ્પો, ઉદારદિલે વેર્યા હતાં. એક જ વર્ષમાં આ તમામ રંગીન, ખુશ્બોદાર ફૂલો ચીમળાઈ ગયા ! સૌથી આધુનિક શાળા, શિક્ષકોની સંખ્યા મુદ્દે સૌથી પછાત ! શાળાની સુંદર અને સુવિધાઓ યુક્ત ઈમારતો ‘શ્રેષ્ઠ શિક્ષણ’ ની ખાતરી નથી હોતી, આ સત્ય સૌ બોલકા નેતાઓને માત્ર 365 દિવસમાં સમજાઈ ગયું.
રિલાયન્સના નાણાંથી શણગારવામાં આવેલી આ ઇમારતના મેદાનની પ્રશંસા પણ કરવામાં આવી હતી, મેદાનમાં રમવાનું હોય છે. ક્લાસરૂમમાં ભણવાનું હોય છે અને તે માટે શિક્ષકો જોઈએ. આ શાળામાં શિક્ષકો જ નથી ! બોલો…ગત્ એપ્રિલથી અત્યાર સુધીમાં વાલીઓએ પોતાના 146 બાળકોને આ સુંદર અને આધુનિક શાળામાંથી ભણતાં ઉઠાડી લીધાં ! કારણ કે અહીં શિક્ષકો નહીં, મોટાં વિદ્યાર્થીઓ નાનાં વિદ્યાર્થીઓને ભણાવે છે – શિક્ષકો નથી ! સરકારનાં તથા શિક્ષણ સમિતિના નિયમો અનુસાર આ શાળામાં ઓછામાં ઓછાં 21 શિક્ષકો હોવા જોઈએ. સમિતિએ આ શાળાને માત્ર 8 શિક્ષક આપ્યા છે ! આ 8 પૈકી 3 શિક્ષકોને ભણાવવા સિવાયની અન્ય જવાબદારી સોંપવામાં આવી છે ! જેને કારણે 21 શિક્ષકો હોવા જોઈએ તેની સામે માત્ર 5 શિક્ષકો ! 16 શિક્ષકોની ઘટ !! (આ સ્થિતિમાં પણ શિક્ષણ સમિતિનાં ચેરમેનનાં શિક્ષણ અંગેનાં છટાદાર ભાષણો સાંભળવા જેવાં હોય છે !).
આ શાળાનાં આચાર્ય મનહરલાલ વરમોરા ખુદ શિક્ષકોની ઘટ મુદ્દે ચિંતિત છે. તેવો કહે છે કે શાળામાં ભૌતિક સુવિધાઓ પુષ્કળ છે. આ શાળાને મોડેલ શાળા બનાવવાની પણ ગત્ વર્ષે શાળા પ્રવેશોત્સવ સમયે જાહેરાત થઈ હતી. પરંતુ શિક્ષણ સમિતિ ચેરમેન તથા શાસનાધિકારી આ શાળાને પૂરતાં શિક્ષકો આપી શક્યા નથી ! આ બંને મહાનુભાવોએ આ મુદ્દે મ્યુ. કમિશનર સાથે પરિણામલક્ષી વાતચીત કરવી જોઈએ. કયારે થશે ? આ વાતચીત…વાત ત્યાં સુધીની છે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘટતી કેટલીક સુવિધાઓ અને શાળા માટે ઘટતી કેટલીક સુવિધાઓ માટે શાળાના આચાર્ય વરમોરા સ્વખર્ચ પણ કરતા હોવાનું જાણવા મળે છે.