Mysamachar.in-જામનગર
આપણે ત્યાં આંગણે કોઇપણ અતિથી આવે તો તેનું સન્માન કરવામાં આવે છે, અને તેમાં પણ જો કોઈ સાધુ આંગણે આવે તો લોકો યથાયોગ્ય દાન દક્ષિણા આપતા હોય છે અને આશિર્વાદ મેળવતા હોય છે, પણ આવા સાચા નહિ પણ માત્ર સાધુનો વેશ ધારણ કરેલ એક શખ્સનો કડવો અનુભવ જામનગર નજીકના એક ગામમાં વસવાટ કરતા પરિવારને થયો છે, જામનગર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં પરિવારના ઘરે સાધુ વેશમાં આવેલા નરાધમ શખ્સે યુવતીને ધમકી આપી અપહરણ કરી ભગાડી ગયા બાદ આ નરાધમને પોલીસે અમદાવાદમાંથી ઝડપી લઇ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરથી નજીક આવેલા ગામમાં પાંચેક દિવસ પહેલાં એક યુવતી ગુમ થયાની પોલીસમાં જાહેર થયું હતું. તેમજ તેની વાડીમાં રહેતો સાધુ પણ ન હોવાનું સામે આવતા પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ સી.એમ. કાંટેલિયા અને તેની ટીમે આ અપહરણની મોબાઇલ લોકેશનના આધારે તપાસ હાથ ધરતા અમદાવાદમાં હોવાનું જણાતા પીએસઆઈ અને સ્ટાફ અમદાવાદ પહોંચી ગયો હતો અને ત્યાંથી નરાધમ સાધુના વેશમાં આવેલ જીતેન્દ્ર ઉર્ફે મેન્ટલગીરી પૃથ્વીસિંહ પરમાર (ઉ.વ.42) (રહે. અરવલ્લીવાળો) ને યુવતી સાથે ઝડપી લીધો હતો અને જામનગર લઇ આવ્યા હતાં.
ત્યારબાદ આ પ્રકરણમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં 6 માસ પહેલાં સાધુના વેશમાં આવેલા નરાધમને પરિવારે આશરો આપ્યો હતો અને વાડીએ તેમની રહેવાની તેમજ ઘરેથી ભોજનની સગવડ પૂરી પાડવામાં આવતી હતી. સાધુ વાડીએ યંત્ર જાપ કરતો હતો. ત્રણેક માસ પહેલાં એકલી જોઇને યુવતીને સાધુએ કહેલ કે તારા પરિવારને વિધીથી પકડમાં લઇ લીધા છે અને તું મારું કહ્યું નહીં કરે તો તારા પરિવારને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
બાદમાં સાધુની ધમકીથી ભયભીત થયેલી યુવતીને સાધુએ વાડીએ બોલાવી દુષ્કર્મ આચર્યુ હતું અને પાંચેક દિવસ પહેલાં નરાધમે યુવતીને અહીંથી આપણે જતાં રહેવાનું છે તેમ કહીને અપહરણ કરી ગયો હતો. તેમજ જામનગરથી જૂનાગઢ, અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાન લઇ ગયો હતો. રાજસ્થાન યુવતી પર બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં તે યુવતીને અમદાવાદ લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી સામે દુષ્કર્મ, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે.