Mysamachar.in-જામનગર:
જામનગરના ઘણાંખરાં નગરજનો ઘણી બધી બાબતોમાં રજવાડી માનસિકતા ધરાવે છે, ખાસ કરીને ખાણીપીણીની બાબતમાં જામનગરમાં ચિક્કાર નાણું ખર્ચ થાય છે. સવારના નાસ્તાથી માંડીને રાતના ડીનર સુધી, સંખ્યાબંધ નગરજનો નવા નવા ઠેકાણાં શોધતાં હોય છે. અથવા, દરેક ઠેકાણે વિવિધ આઈટમના ટેસ્ટનો ચસકો ધરાવે છે. અને તેથી લોકોની આ માનસિકતા અથવા ખાસિયતની ‘રોકડી’ કરી લેવા ખાણીપીણીના ધંધાર્થીઓ નવી નવી ટ્રીકસ અને ફોર્મ્યુલાનો ઉપયોગ કરી, નગરજનો પાસેથી ચિક્કાર નાણું એકઠું કરી લ્યે છે.
ટૂંકમાં, સંખ્યાબંધ નગરજનો ખાધેપીધે સુખી છે (જો કે જામનગરમાં હોસ્પિટલોની સંખ્યા પણ ઘણી વધુ છે!) અને તેને કારણે ખાણીપીણીના ધંધાર્થીઓ પણ પુષ્કળ છે અને આ ધંધાર્થીઓ લોકો પાસેથી મનગમતાં ભાવો પણ વસૂલે છે.
ખાસ કરીને, ભાવનગર અને રાજકોટની માફક જામનગરમાં પણ નાસ્તાની આઈટમ તરીકે ગાંઠિયા ખૂબ જ પ્રિય ચીજ છે. શહેરમાં ગાંઠિયા નિયમિત રીતે ખાનારાઓની સંખ્યા પણ તોતિંગ છે. અને વારે તહેવારે ગાંઠિયાના વિવિધ સ્વાદ અને કવોલિટીનો ટેસ્ટ કરનારા નગરજનો પણ હજારો છે. જેને કારણે શહેરમાં રૂ. 300-400 થી માંડીને પ્રતિ કિલોગ્રામ ગાંઠિયાના રૂપિયા 1,000-1,200 વસૂલનારા ધંધાર્થીઓનો ધંધો પણ ધમધોકાર ચાલી રહ્યો છે.
ઘણાં લોકોને નવા નવા સ્થળે ગાંઠિયા ટેસ્ટ કરવાનો શોખ હોય છે. આ પ્રકારના સ્વાદ શોખિનો કોઈ પણ સ્થળે ગાંઠિયાનો ભાવ પણ પૂછતાં નથી. ઘણી વખત એવું પણ બને કે, ધંધાર્થીઓ દ્વારા ગાંઠિયાનો બહુ ઉંચો ભાવ પણ લોકો પાસેથી વસૂલાતો હોય છે અને લોકો કમને નાસ્તો કરી લીધાં બાદ, આ બિલ ચૂકવવા પણ મજબૂર બનતાં હોય છે.
તાજેતરમાં એક ગ્રાહકને આવો અનુભવ થયો. તેને એમ હતું કે, ફલાણી જગ્યાએ ગાંઠિયાનો ભાવ પ્રતિ કિલોગ્રામ બહુબહુ તો પાંચસો કે છસ્સો રૂપિયા હશે. પરંતુ બિલ આવ્યું ત્યારે ગ્રાહકને ખ્યાલ આવ્યો કે, અહીં બિલમાં અન્ય ખાણીપીણીની આઈટમ સાથે 300 ગ્રામ ગાંઠિયાની પ્લેટના રૂપિયા 315 વસૂલવામાં આવ્યા.!! ગ્રાહક વિચારમાં પડી ગયો, આ ભાવે ગાંઠિયા પ્રથમ વખત ખાધાં!! અને હાલમાં છેલ્લા કેટલાંક સમયથી તેલના ભાવોમાં પણ ખાસ્સો એવો ઘટાડો ચાલી રહ્યો છે એવા સમયમાં ગાંઠિયાના આટલાં ઉંચા ભાવોને કારણે ગ્રાહકો અચંબિત થઈ રહ્યા છે.
નવાઈની વાત એ પણ છે કે, લગત તંત્ર અથવા તોલમાપ તંત્ર સહિતનું એક પણ તંત્ર આવી પ્રજાલક્ષી બાબતોનું મોનિટરીંગ કરતું હોય એવું કયાંય દેખાતું નથી ! બધી બાબતોમાં આવું જોવા મળી રહ્યું છે ! દાખલા તરીકે પેટ્રોલ પંપના મીટરોની તપાસણી કે પેટ્રોલ પંપ પર ભેળસેળની ચકાસણી થતી હોય તેવું પણ ક્યારેય સાંભળવા મળતું નથી ! આ પ્રકારની લોકો સાથે સીધી સંકળાયેલી મોટાભાગની બાબતોમાં રેઢાં રાજ જેવી સ્થિતિ છે !!