Mysamachar.in-જામનગર:
રૂપાલાનું ક્ષત્રિય સમાજ અંગેનું વિવાદીત અને અપમાનજનક નિવેદન રૂપાલા ઉપરાંત સમગ્ર પક્ષને ભારે પડી રહ્યું છે. બીજી તરફ ક્ષત્રિય સમાજ આ મામલે પોતાનું સ્ટેન્ડ એક કરતાં વધુ વખત જાહેર કરી ચૂક્યો હોવા છતાં રૂપાલા જાહેરમાં વારંવાર હાથ જોડી રહ્યા છે, જો કે એમ છતાં ક્ષત્રિય સમાજ મક્કમ છે. ખુદ અમિત શાહની પણ આ મામલામાં કારી ફાવી નથી. આમ છતાં ભારતીય જનતા પાર્ટી મથી રહી છે.
ભાજપાએ વટથી રૂપાલાનું ફોર્મ રાજકોટથી દાખલ કરાવ્યું ત્યારે જ ક્ષત્રિય સમાજ આરપારની લડાઈ જાહેર કરી ચૂક્યો છે. આમ છતાં દરેક ચૂંટણી કાર્યક્રમમાં રૂપાલા ક્ષત્રિય સમાજને બધું ભૂલી જવા રાજકીય નિવેદનોથી આજીજી કરી રહ્યા છે. દરમ્યાન, ક્ષત્રિય સમાજે મતદાનના દિવસ સુધીના કાર્યક્રમ જાહેર કરી દીધાં છે. અને, મતદાન સમયે રૂપાલા ભાજપાને મતદાનથી પાઠ ભણાવવા જાહેરાત પણ કરી દીધી છે.
આમ છતાં કોઈ એવા અહેવાલો દોડતાં કરી રહ્યું છે કે, રાજપૂત સંકલન સમિતિના કેટલાંક સભ્યો, ભાજપામાં જોડાઈ જશે. બીજી તરફ સરકાર અને પક્ષના ટોચના દૂતો ક્ષત્રિય સમાજની રણનીતિને ફોકટ કરવા દરેક શહેરમાં ગુપ્ત બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. મુખ્યમંત્રી ભાજપા મોવડીમંડળની આશાઓ પૂરી કરવા કચ્છમાં આશાપુરા માતા મંદિરે પહોંચી ગયા. પરંતુ ભાજપાની અત્યાર સુધીની આ એક પણ મથામણ સફળ થતી દેખાતી નથી. વડાપ્રધાન 22મી એપ્રિલે રાજકોટ ખાતે સભા કરશે, એવી વાત પણ 23મી એપ્રિલ સુધી સાચી પડી નથી. અમિત શાહનો પ્રયાસ પણ સફળ થયો નથી.
દરમ્યાન, રાજપૂત સમાજની સંકલન સમિતિ વતી સુરેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી છે કે, અમારાં કોઈ જ સભ્ય ભાજપામાં જોડાશે નહીં. આમ આ નવો દાવો અને દાવ પણ સફળ થયો નથી. પી.ટી.જાડેજા પણ કહી ચૂક્યા છે, અમારામાં કયાંય કોઈ ભાગલા નથી. સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. સુરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું: સંકલન સમિતિના દરેક સભ્ય પોતાના સ્ટેન્ડ પર કાયમ છે. ભાજપામાં જોડાવાની કોઈ વાત જ નથી. ક્ષત્રિય સમાજ કહે છે, આ ધર્મયુદ્ધ અટકવાનું નથી. આ મામલો અમારાં ઘરોના ચૂલા સુધી પહોંચી ચૂક્યો છે. આંદોલન ચાલુ જ રહેશે. ગામેગામ તેનો વિસ્તાર થશે.