Mysamachar.in-જામનગર:
જામનગરના હજારો GST કરદાતાઓ એવા ટ્રેડર્સ-ઉત્પાદકો અને ઉદ્યોગકારો સહિતના ધંધાર્થીઓ સાથે સંકળાયેલા આધારભૂત વર્તુળો જણાવે છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં કાર્યક્ષેત્ર ધરાવતી, જામનગરની GST કચેરી મનમાની આચરવા ટેવાયેલી છે. જેને પરિણામે પ્રમાણિક હજારો કરદાતાઓએ વિવિધ કારણોસર હાલાકીઓ વેઠવી પડે છે. બીજી તરફ બાહુબલિઓની ગોઠવણોને લીલીઝંડી આપવામાં આવતી હોવાનું પણ સૂત્ર જણાવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દેશભરમાં GST અમલમાં આવ્યો એ પહેલાં VAT નામથી ઓળખાતી કર વ્યવસ્થા અમલમાં હતી. VAT વ્યવસ્થા સંપૂર્ણપણે રાજ્ય સરકારની વ્યવસ્થા છે. અગાઉ બધી જ કરપાત્ર ચીજો પર VAT વસૂલવામાં આવતો, હાલ અમુક ચીજોમાં VAT અને અમુક ચીજોમાં GST વસૂલવામાં આવે છે. જામનગરની GST કચેરીમાં એવા સેંકડો કરદાતાઓ નોંધાયેલા છે, જેઓએ કચેરીમાંથી VAT રિફંડ મેળવવાના બાકી છે. પરંતુ કચેરી VAT રિફંડ આપવામાં માનતી નથી, બીજી તરફ રિકવરી માટે ઉતાવળ કરે છે અને બળજબરી પણ કરતી હોવાને કારણે કરદાતાઓ પરેશાન છે, કરદાતાઓ આ અંગે વેપાર ઉદ્યોગ સંસ્થાઓ અને સંગઠનોને રાવ-ફરિયાદ અને રજૂઆતો પણ કરી રહ્યા છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, જામનગરની GST કચેરી VAT રિફંડ આપવામાં ઠાગાઠૈયા કરે છે, અંદાજે 350-400 જેટલાં કરદાતાઓએ કચેરીમાંથી રિફંડ મેળવવાના બાકી છે. કચેરી કરદાતાઓને એવું કહે છે કે, રિફંડ માટેનો ટાસ્ક અમો ઓનલાઈન જનરેટ કરી શકતા નથી. આ દલીલ માનવામાં ન આવે એવી વાહિયાત દલીલ હોવાનું સૂત્ર જણાવે છે. જે કચેરી રિકવરી માટેના ટાસ્ક જનરેટ કરી શકે છે એ કચેરી રિફંડ માટેના ટાસ્ક શા માટે જનરેટ ન કરી શકે ? કચેરીના વડા અધિકારી નાયબ કમિશનર પાસે કરદાતાઓના માત્ર ચોક્કસ પ્રકારના જ ઓનલાઈન એકસેસ હોય છે ? અને કરદાતાઓની દલીલ એવી પણ છે કે, એકસેસ ન હોય તો વડી કચેરીએથી એકસેસ મેળવી લો. રિફંડ તો આપો. કચેરી રિફંડ આપે નહીં અને રિકવરી તથા ડિમાંડ નોટિસ મોકલે રાખે, એવું તો કેમ ચાલે ? GST આર્ટિકલ 33 મુજબ, કરદાતાઓને મળવાપાત્ર રિફંડ લાંબા સમય સુધી ન મળતાં હોવાને કારણે, કરદાતાઓમાં ભારે અસંતોષ છે અને જામનગર GST કચેરીની કાર્યપ્રણાલીઓ પ્રત્યે રોષ તથા આક્રોશ છે.
તાજેતરમાં આવા પ્રશ્નો નિવારવા કચેરીમાં એક બિનસતાવાર બેઠક પણ યોજવી પડી હતી કેમ કે કરદાતાઓની નારાજગી સતત વધી રહી છે. એક તરફ વર્ષો સુધી તંત્ર કરદાતાઓને રિફંડ ન આપે અને બીજી તરફ અગાઉના વર્ષોની કર વસૂલાત માટે નિયમભંગ કરીને ટૂંકા ગાળામાં કરદાતાઓને ડિમાંડ નોટિસ મોકલાવી ટેક્સ ટેરરિઝમ આચરે, એવી બેવડી પદ્ધતિઓને કારણે કરદાતાઓમાં ખૂબ જ ભય અને નારાજગી છે. વડી કચેરીઓ જામનગર કચેરીની આવી મનમાનીઓ શા માટે ચલાવી લ્યે છે ? કરદાતાઓને આ ત્રાસદીમાંથી બચાવશે કોણ.??