Mysamachar.in:જામનગર
લેઉવા પટેલ સમાજ-જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિના પ્રતિભાવંત વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ, રણજીતનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજયના કેબિનેટમંત્રી રાઘવજી પટેલ, રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખ રાબડીયા, પૂર્વ પ્રમુખ ગંગદાસ કાછડીયા, નાથા મુંગરા, વિરજી હીરપરા, તુલસી ગજેરા, ડો. પી.વી. વસોયા, જીલ્લા તાલુકા પંચાયતના સભ્યો, કોર્પોરેટરો સહિત ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત સર્વેનું સમાજના મંત્રી લવજી વાદી દ્વારા શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતુ. બાદમાં સમાજના પ્રમુખ મનસુખ રાબડીચાએ પ્રાસંગીક પ્રવચનમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તણાવ મુકત વાતાવરણ વચ્ચે તંદુરસ્ત હરિફાઇ સાથે જીવનમાં આગળ વધવા તેમજ મોબાઈલનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી. ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા સર્વે તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની સફળતા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ તકે ઉપસ્થિત શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ વાલીઓને પોતાના બાળકો ઉપર કોઈપણ જાતનું દબાણ મુક્યા વગર બાળકોનું સિંચન તેમની રૂચી પ્રમાણે કરી પસંદગીના ફીલ્ડમાં આગળ વધવા દેવા જોઈએ તેમ જણાવ્યું હતુ. રાજયના કેબીનેટમંત્રી રાઘવજી પટેલે ઉપસ્થિત વાલીઓને પેટે પાટા બાંધીને પણ બાળકોને ભણાવવા જોઈએ તેમ જણાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓને તેમના જીવનમાં આગળ વધવા શુભકામનાઓ પાઠવી હતી. વિશાળ સંખ્યામાં યોજાયેલ કાર્યક્રમમાં 1250 થી વધુ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.