Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનમા છેલ્લા કેટલાક સમયથી ચીફ એકાઉન્ટન્ટ દ્વારા મનપાના નાણા ખાનગી બેંકમાં રાખવાનો મામલો હવે દિવસે ને દિવસે વધુ સળગી રહ્યો છે, આજે કમિશ્નર કાર્યાલય બહાર ધરણા વિરોધ કરી વીજીલન્સ તપાસની પ્રબળ માંગણી પુર્વ વિપક્ષી નેતાએ ઉઠાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે કેમકે રાજ્ય સરકારે બબ્બે વખત લેખીત સુચના આપી હોવા છતા કોર્પોરેશનની ગ્રાન્ટ સહિતની થાપણો ખાનગી બેંકમા શા માટે રખાઇ છે? તે પ્રશ્ન ભ્રષ્ટાચારની ચાડી ખાય છે, જો કે તપાસ માંગી લેતો વિષય તો છે જ…
કોંગી કોર્પોરેટર અને પુર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીએ જણાવ્યુ છે કે કોર્પોરેશનમા છેલ્લા દસ વર્ષમા નાણા જમા રાખવા મામલે મોટી કથિત ગેરરીતી આચરવામાં આવી છે, જે માટે કમિશનરને પાઠવેલા વિસ્તૃત આવેદનમા વીજીલન્સ સહિતની સરકારી તપાસનીસ એજન્સીઓ આ મામલે તપાસ કરે તેવી માંગણી કરી ઉમેર્યુ છે કે પ્રજાના નાણા જેવા ગંભીર મામલે પ્રશ્ન પુછાય તો જવાબ મળતા નથી અને હદ તો ત્યા છે કે જે અધિકારી વિરૂદ્ધ સવાલ ઉઠાવેલા તે જ અધીકારી જવાબ આપે તેમા તટસ્થ જવાબ કેમ મળે? તે શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે,
કોર્પોરેશનના નાણા ખાનગી બેન્કોમાં રાખવા મુદ્દે ચીફ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ નિર્મલ સામે આંગળીઓ ચિંધાઈ રહી છે, ખુદ શાશકપક્ષના સભ્યો પણ લેખિત આપે છે, તેમા સરકારની ગ્રાન્ટ સવર્ણ જયંતિ ગ્રાન્ટ સ્વભંડોળ સહિતની આવક અન્ય યોજનાના નાણા આ બધુ જ સરકારી બેંકમાં રાખવા સરકારે વર્ષ 2016 અને 2017 મા પત્ર લખી ગર્વમેન્ટ અંડર ટેકીંગ બેંકમાં જ નાણા જમા રાખવા સુચના આપી છે, છતા મનમાની અને જોહુકમી કરી નાણા ખાનગી બેંકમા રાખી વર્ષ 2010 થી 2020 સુધી જંગી કમીશન કૌભાંડ આચરાયુ હોવાના આક્ષેપો થાય છે,
કેટલા નાણા હતા વ્યાજ કેટલુ હતુ એ દરેકના હિસાબ નથી અને અગાઉ જામનગર મનપામાં પંકાયેલા બહુચર્ચિત સેદાણી કૌભાંડ કરતા પણ આ મોટુ કૌભાંડ હોવાનુ પણ અસલમ ખીલજીએ આક્રોશપુર્વક જણાવી આક્ષેપો કર્યા છે, તેમજ સમગ્ર મામલે ઉંડી તપાસની માંગની વિસ્તૃત લેખીત રજુઆત કમીશનર ચેમ્બર પર લગાવી છે જેમાં ખાનગી બેંકોમા ડીપોઝીટ રાખવાથી મળેલા કમીશનની અલગ એસીબી તપાસની પણ માંગ કરાઇ છે.
-વધેલા નાણા GSFS માં જ નાણા રાખવાના સરકારી હુકમનો ઉલાળીયો…આ રહ્યો આધાર
કોર્પોરેશનમા નાણા વધે અને ક્યાય રાખવાના થાય તો ગુજરાત સ્ટેટ ફાયનાન્સીયલ સર્વિસમા નાણા જમા રાખવાના સરકારના આદેશનો ચીફ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ નિર્મલ અને તેને છાવરનારા તમામે ઉલાળીયો કર્યાનુ ખુલ્યુ છે કેમકે નાણાં વિભાગનો તારીખ 29/10/2016 નો પરિપત્ર છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે રાજયસરકારની કચેરી, જાહેર સંસ્થા, સોસાયટી, જાહેર સાહસ, સંસ્થા, સોસાયટીના વગેરેમાં અર્ધ સરકારી સંસ્થા કે જે સરકારી ગ્રાન્ટ ઉપર ચાલતી સંસ્થાને પણ આ પરિપત્ર લાગુ પડે જ છે જે જામનગર કોર્પો.ને પરિપત્રથી જાણ કરવામાં આવેલ છે, તે મુજબ તે વખતે જ 10 જ દિવસની સમયમર્યાદામાં જ GSFS ગુજરાત સ્ટેટ ફાયનાન્સીયલ સર્વિસમાં ફંડ ટ્રાન્સફર કરવાનુ રહે છે, આ પ્રકારે સરકારે વણ વપરાયેલ નાણાં ટ્રાન્સફર કરવા જણાવેલ છે,
તદુપરાંત તા. 07/10/2016 પત્ર ક્રમાંકજી.યુ.ડી.સી. /પ્રોજેકટ/R-B/RVB-2017/257 તા. 07/10/2017 ડે કમિશ્નર કાર્યલય ઇનવર્ડ નંબર 1131 તા. 11/10/2017 માં સ્પષ્ટ લખેલ છે કે નાણાં વિભાગની 10 દિવસમાં પૂર્વ મંજૂરી મેળવી GSFS માં F.D જમા કરાવી તેની સામે સમયાંતરે મળનાર વ્યાજની રકમ રાજય સરકારના આવકના બજેટ સદર 0049-800-21 હેઠળ જમા કરાવવાની કાર્યવાહી અંગે સરકારને જાણ કરવાની રહેશે, આ હુકમને વર્ષો થયા છતા નાણા ખાનગી બેંકમા શા માટે જમા થયા.? કોનુ હિત છે?? શુ ફાયદો છે?? સરકારથી પણ ઉપરવટ કોના જોરે ચીફ એકાઉન્ટન્ટ અને તેને છાવરનારા જાય છે અને ગયા છે?? પ્રજાના નાણાનો હીસાબ અને પારદર્શીતા કેમ નહી?? વગેરે અનેક પ્રશ્નો સરકારનો આ પરિપત્ર સામે આવતા ઉઠ્યા છે જેની તપાસ મંગાઇ છે.