Mysamachar.in:જામનગર
ઉદ્યોગોનું પ્રદૂષણ, પ્રદૂષણનું મોનિટરીંગ અને પ્રદૂષણની અસરો તથા આડઅસરો- આ પ્રકારના મામલાઓ વર્ષો સુધી લંબાતા રહેતાં હોય છે ! મોટેભાગે આ પ્રકારના મામલાઓમાં ખાસ કોઈ ગતિ કે નિર્ણાયક સ્થિતિ ભાગ્ય જ જોવા મળતી હોય છે ! જામનગર નજીકના સિક્કા ખાતે આવેલી સિમેન્ટ કંપનીનાં પ્રદૂષણનો મુદ્દો પણ કાંઈક આવો જ છે ! અરજદારોને વિવિધ રીતે થકાવી દેવામાં આવતાં હોય છે ! એ પ્રકારની સ્થિતિ વર્ષોથી હોવાનું જાણવા મળે છે.
આ પ્રકારનું એક ઉદાહરણ તાજેતરમાં સામે આવ્યું છે. અબ્દુલભાઈ મેપાણી નામનાં એક અરજદાર પાછલાં તેર-તેર વર્ષથી કંપનીનાં પ્રદૂષણ મુદ્દે લડત આપી રહ્યા છે ! અસંખ્ય રજૂઆતો કરી ચૂક્યા છે ! તાજેતરમાં, ગત્ જાન્યુઆરી માસમાં તેઓએ વધુ એક જામનગર કલેકટર કચેરીમાં રજૂઆત દાખલ કરી છે. તેઓની અનેક રજૂઆતો પછી પણ સ્થિતિ જૈસે થે જેવી જોવા મળી રહી છે ! અને, આ સિમેન્ટ કંપનીનાં પ્રદૂષણ નિયંત્રણ અંગે ક્યાંય, કોઈ કાર્યવાહી થતી હોય, એવું કશું જ જોવા જાણવા મળતું નથી ! તેઓએ હારીથાકીને આ પ્રકારની રજૂઆત માય સમાચાર ડોટ ઈન સમક્ષ પણ કરી છે.
અબ્દુલભાઈ મેપાણીએ વર્ષ 2010નાં પ્રારંભથી આ લડત આદરી છે ! આજે 2023માં પણ તેઓની આ લડત ચાલુ છે. કંપની રાતદિવસ ધમધમતી રહે છે. કંપનીને કોઈ જ તકલીફ, એક પણ તંત્ર તરફથી નથી. અને, રજૂઆત કરનાર અરજદારની પડખે એક પણ તંત્ર નથી ! એમ તેઓની રજૂઆત પરથી સમજાઈ રહ્યું છે. આ અરજદારે જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ પણ અનેકવાર રજૂઆતો કરી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પણ રજૂઆત કરી છે. SDM કચેરીમાં રજૂઆત કરી છે. રાજ્યનાં ઉદ્યોગ કમિશનરને રજૂઆત કરી છે. રાજ્યનાં વિજિલન્સ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. પરંતુ આજની તારીખે આ અરજદાર સર્વત્ર ધક્કા ખાવા મજબૂર છે ! કંપની સત્તાવાળાઓ અરજદારની રજૂઆતોને અવગણે છે એટલું જ નહીં, અરજદારને પરેશાન પણ કરે છે ! અરજદારને પોલીસનાં માધ્યમથી ડરાવે, ધમકાવે છે ! હેરાન કરે છે ! એવી રજૂઆત પણ આ અરજદારે માય સમાચાર ડોટ ઈન સમક્ષ કરી છે !!
-તાજેતરની જાહેર લોકસુનાવણી પછી શું થયું ?!
સિક્કાની દિગ્વિજય સિમેન્ટ કંપની પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરી રહી છે. આ સંદર્ભે ગત્ જાન્યુઆરી માસમાં તંત્રો દ્વારા જાહેર લોકસુનાવણી પણ રાખવામાં આવી હતી. સંખ્યાબંધ અરજદારોએ આ સુનાવણી દરમિયાન કંપની વિરુદ્ધ મૌખિક તથા લેખિત રજૂઆત કરી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહે છે: આ સુનાવણી અંગેનો રિપોર્ટ ગાંધીનગર તથા દિલ્હી મોકલી આપવામાં આવ્યો છે. ત્યાંથી જે સૂચનાઓ મળશે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હી તથા ગાંધીનગરથી જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીને પરત સૂચનાઓ મળતાં મહિનાઓ નીકળી જશે ! અત્રે એ પણ નોંધનીય છે કે, આ સિમેન્ટ કંપનીએ પ્રદૂષણ નિયંત્રણ માટે દિવાલ ઉંચી બનાવવાને બદલે દીવાલ પર પતરાં લગાવી દીધાં છે ! ધારો કે, આ પતરાંઓ વાવાઝોડા કે ભારે પવનનાં સંજોગોમાં ઉડે અને આસપાસના વિસ્તારોમાં લોકો પર અથવા રહેણાંક કે વાડી વિસ્તારમાં ખાબકે તો ?! આ વિસ્તારના સેંકડો લોકોની જિંદગીની સલામતીનું શું ?! આ જવાબદારી કોની ?! એવો પ્રશ્ન પણ અબ્દુલભાઈ મેપાણીએ પોતાની રજૂઆતમાં ઉઠાવ્યો છે.