Mysamachar.in-જામનગર:
જયારે મલાઈ ખાવાની વાત આવે તો માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કર્મચારીઓનું નામ મોખરે આવે પણ જયારે કામ કરવાની વાત આવે ત્યારે….આ વાત ગઈકાલની છે, જેમાં મોરબી જિલ્લાની હદમાંથી પસાર થતા જામનગર કચ્છ કોસ્ટલ હાઈ વે રોડ પર આમરણ ખારચિયા ગામ વચ્ચે આવેલો વર્ષો જુનો પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. જેનું સમારકામ કરવા અવાર નવાર તંત્રમાં રજૂઆતો થઇ હતી, અને જાણવા મળતી વિગતો પ્રમાણે જામનગર માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રિ-મોન્સુન પ્લાનમાં આ બ્રિજનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો પછી શું થયું તે સામે આવ્યું નથી,
એવામાં ગઈકાલે આ બ્રીજ નીચે પડી જતા એટલે કે બે કટકા થઇ જતા મલાઈ નહોતી તારવાઈ એટલે મોરબી માર્ગ અને મકાન જામનગર માર્ગ મકાન એકબીજા પર જવાબદારી ઢોળવા લાગ્યા અને આ અમારામાં ના આવે આ તમારામાં આવે તેમ કરવા લાગ્યા… હજારો વાહનોની અવરજવર ધરાવતા આ પુલ પરથી સદનશીબે પુલ તૂટતી વેળાએ એક પણ વાહન પસાર થતુ ન હતુ. જેથી મોટી જાનહાની ટળી હતી. જે બાદ જે રીતે જાણવા મળી રહ્યું છે તેમ ગમે તેની હદ હોય પણ ઉચ્ચ અધિકારીએ સુચના કરતા ધ્રોલના નાયબ ઈજનેર અને મોરબીની ટીમ અંતે સંયુક્ત કામગીરી કરવાની ફરજ પડી હતી, હાલ આ બ્રીજ જે જગ્યા પરથી તુટ્યો છે તેની નજીકમાં ડાઇવર્ઝન આપી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હોવાનું જાણવા મળે છે.