Mysamachar.in-જામનગર
જામનગરમા પુરવઠા તંત્રનુ અસ્તિત્વ જનતા માટે નહી પરંતુ રેશનીંગ દુકાનદારો ગેસ એજન્સીઓ પેટ્રોલ પંપો વગેરેના થાબણ ભાણા માટે છે તે હવે સરકાર સુધી વાત પહોંચી ગઇ છે કેમકે નિયમ જોગવાઇ જે હોય છુટ છાટ જે હોય તે પણ ડીઝાસ્ટર પોઇન્ટ ઓફ વ્યુથી ગીચ વિસ્તારમાને ભારે વિજલાઇન આજુબાજુ તેમજ ગોડાઉન વિસ્તારમા પંપ ન કરવાની બાબતને એળે મુકી અને સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ખુદ પુરવઠાના પુર્વ કર્મચારીઓ જેમાં સંકળાયેલા છે તે જગ્યાએ સીએનજી પંપના નિર્માણને લઈને વાંધાવિરોધ ઊઠવાનું શરુ થયું છે,
જામનગર બેડેશ્વર ઓવરબ્રિજ પાસે આવેલ આશુતોષ પેટ્રોલપંપમાં સી.એન.જી. પંપ બનાવવાની કાર્યવાહી પંપ સંચાલકો દ્વારા ચાલી રહી છે. તે તાકીદે અટકાવવા માટે આ વિસ્તારના જાગૃત પૂર્વ કોર્પોરેટર દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ પંપની આજુબાજુનો વિસ્તાર ખુબ જ સંવેદનશીલ અને રહેણાંક છે. આ પંપની બાજુમાં રેલ્વેસ્ટેશન, ઓવરબ્રિજ, સ્કુલ, આરોગ્ય કેન્દ્ર, આવાસ વિગેરે આવેલ છે. આ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં હજારો લોકો રહે છે જેમાંના મોટે ભાગે સામાન્ય વર્ગના લોકો વધુ રહે છે કે જેમને કદાચ બધા નિયમખબર ન પણ હોય જેને સી.એન.જી. પંપની ગંભીરતા અને જવાબદારી અંગેનું કોઈ જ્ઞાન નથી.
આ ઉપરાંત આ પંપની બાજુમાં સાબુના કારખાના અને ઓઈલ મીલ જેવા અતિ જવલનશીલ ઔધોગીક એકમો આવેલા છે તેમજ અનાજનું ગોડાઉન પણ નજીકમાં જ આવેલું છે આ પંપ ઘણા લાંબા સમયથી રહેણાંક વિસ્તારમાં કાર્યરત છે અને હવે તેમાં સી.એન.જી. પંપ ચાલુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો અકસ્માતે કોઈ દુર્ઘટના ઘટી તો મોટી જાન-માલની નુકશાની થાય તેમ છે. મોટા ભાગના શહેરોમાં સી.એન.જી. પંપ શહેરની બહાર હોય છે તેમજ રહેણાંક વિસ્તારોમાં તો હોતા જ નથી. કયા કારણોસર અહિં સી.એન.જી. પંપની મંજુરી આપવામાં આવી છે તે સમજાતું નથી. તેવો વેધક સવાલ ઉઠાવી અને આ અંગેની વધુ માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે, જે બાદ આ મામલે વધુ પ્રકાશ પાડી શકાશે.
આ પંપની નજીકમાં જ દરીયાઈ વિસ્તાર આવેલો છે જે ખુબ જ સંવેદનશીલ છે. તો નજીકમાં બંદરો આવેલા હોવાથી અહિં વાહનોની અવર-જવર પણ વધુ રહે છે. આટલા બધા લોકોના જાન-માલને જોખમમાં મુકી પેટ્રોલપમ્પ સંચાલકના વ્યકિતગત ફાયદા માટે સી.એન.જી. પંપની મંજુરી આપવી તે ખુબ જ અન્યાયકારી અને ગંભીર બાબત હોવાનો આક્ષેપ રજુઆતમાં કરવામાં આવ્યો છે, ત્યારે વોર્ડ નંબર 1 ના પૂર્વ કોર્પોરેટર હુશેનાબેન અનવર સંઘાર દ્વારા કલેકટરને સંબોધીને કરવામાં આવેલ રજુઆતમાં કહેવામાં આવ્યું છે કે અમારી તેમજ અમારા વિસ્તારના લોકો વતી રજુઆત છે કે આ પંપની મંજુરી કેન્સલ કરવામાં આવે અને જો પંપ ચાલુ કરવો હોય તો રહેણાંક વિસ્તારથી દૂર બારોબારના વિસ્તારમાં ચાલુ કરવામાં આવે.
સી.એન.જી.પંપ ચાલુ કરવા સામે વાંધો નથી પરંતુ આ જગ્યા ઉપર સી.એન.જી. પંપ ચાલુ કરવાથી અકસ્માતે દુર્ઘટના ઘટી તો અનેક લોકોને જાન-માલની નુકશાની ભોગવવી પડે તેમ છે. ત્યારે આ બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા જવાબદાર અધિકારી તરીકે આદેશ કરવા ભારપૂર્વક ભલામણ કરવામાં આવી છે, જો આ બાબતે યોગ્ય સમય મર્યાદામાં કોઈ નકકર કાર્યવાહી ન કરવામાં આવી તો વિસ્તારના લોકોને સાથે રાખી લોકશાહી પરંપરા મુજબ આંદોલન કરવાની ફરજ પડશે.