Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં આ વખતે ચૂંટણી કોઈનાં પણ માટે આસાન ન હોવાનું સૌ જાણે છે. મતદારોમાં વિવિધ મુદ્દે નારાજગી છે. અને, ખાસ કરીને શાસકપક્ષમાં જોવા મળતાં અસંતોષ પાછળ ક્યાંક ને ક્યાંક ટિકિટ ફાળવણી જવાબદાર હોવાનું સમજાઈ રહ્યું છે. નવાં અને યુવા ચહેરાઓને આગળ લાવવાની ધગશ પક્ષમાં ઓછી જોવા મળી છે. અને, વર્ષોથી પક્ષ તથા કાર્યકરોને ખિસ્સામાં રાખ્યાની માનસિકતા ધરાવતાં નેતાઓને પંપાળવામાં આવ્યા હોય, પક્ષની સેકન્ડ અને થર્ડ કેડરને પોતાનું ભવિષ્ય ડહોળાઈ રહ્યું હોવાની પ્રતીતિ જન્મી છે. જેને કારણે સામાન્ય અને સાવ નાનાં કાર્યકરોમાં પણ ગલત સંકેતો પ્રસરી રહ્યા છે. ભાજપા માટે આ સ્થિતિ, ખાસ કરીને જામજોધપુર વિધાનસભા બેઠક પર નુકસાનકારક સાબિત થઈ રહી છે. આ બેઠક હાલમાં પણ કોન્ગ્રેસના કબજામાં છે.
જામજોધપુર બેઠક પર પક્ષે ચીમન શાપરિયાને ટિકિટ આપી ત્યારથી સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મૂંઝવણમાં મુકાયા છે અને પક્ષમાં સ્થાનિક સ્તરે ઘણાં લોકો નિષ્ક્રિય બનતાં રહ્યા છે. કાર્યકરોમાં ખાસ ઉત્સાહ પણ જોવા મળતો નથી. ખુદ ઉમેદવારે નાની નાની બેઠકો કરવી પડે છે. જેમાં પણ ગ્રામજનો જોડાવાનો ઉમંગ દર્શાવી રહ્યા નથી. ભૂતકાળમાં બે બે વખત ઉર્જા અને કૃષિ જેવાં કસદાર વિભાગો મંત્રી તરીકે સંભાળી ચૂક્યા હોવાં છતાં નવા ચહેરાને આ વખતે તક આપવામાં ન આવી તે મુદ્દે પણ અસંતોષ છે. કેટલાંક કાર્યકરો તો એવું પણ અનુભવી રહ્યા છે કે, હારેલા ઉમેદવારને બદલે કોઈ તરવરીયા યુવાનને અથવા શિક્ષિત મહિલાને અથવા તો ડોક્ટર જેવાં કોઈ પ્રોફેશનલને ઉમેદવાર બનાવવામાં આવ્યા હોત તો પક્ષમાં પ્રાણ પૂરી શકાયા હોત. કેમ કે, પાછલાં પાંચ વર્ષ દરમિયાન કાર્યકરોના ભાગે માત્ર મજૂરી જ આવી હોવાનું જાણવા મળે છે. વળી, મતદારોમાં પણ ભાજપા પ્રત્યે ખાસ લગાવ જોવા મળતો નથી કેમ કે, ગત્ વખતે મતદારોએ મતદાન કર્યું તે બધું નિરર્થક રહ્યું. કોન્ગ્રેસ બેઠક આંચકી ગઈ.
પક્ષમાં રહેલી નારાજગી, અસંતોષ અને મતદારોમાં ઉત્સાહનો અભાવ જેવાં કારણોસર ભાજપાનાં ઉમેદવાર આ બેઠક પર ચૂંટણીનો ઝંઝાવાતી માહોલ હજુ સુધી જન્માવી શક્યા ન હોય, એવું ફીલ કરી રહેલાં પાયાનાં કાર્યકરો પણ હતોત્સાહ થઈ રહ્યા છે અને શરમેધરમે એકમેક પાછળ ચાલી રહ્યા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં જો આ બેઠક પર ઉમેદવાર કોઈ ચમત્કાર નહીં સર્જી શકે તો, આ બેઠક કોન્ગ્રેસ પાસેથી આંચકી લેવી ભાજપા માટે લોઢાના ચણા ચાવવા સમાન પૂરવાર થશે, એવું હાલ સમજાઈ રહ્યું છે !