Mysamachar.in:જામનગર
તોલમાપમાં ઘાલમેલ અને ગ્રાહકો સાથે છેતરપિંડી, ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે કેમ કે એકંદરે આપણે ત્યાં ગ્રાહક જાગૃતિ બહુ ઓછી જોવા મળે છે. અને આ માટેનું સરકારી તંત્ર (તોલમાપ વિભાગ) પણ બહુ એક્ટિવ રહેતું નથી. સામાન્ય અને રૂટિન ચેકીંગ થતું રહે છે અને સામાન્ય દંડનીય કાર્યવાહી થતી હોય છે. આકરો દંડ કે વ્યવસાયિક એકમો સીલ કરવા જેવી નોંધપાત્ર કામગીરી ક્યારેય, લગભગ, થતી જોવા મળતી નથી !તોલમાપ વિભાગ સામાન્ય રીતે વાર્ષિક ફી જેવી આવકો પર જ ધ્યાન આપે છે. આ તંત્રની વેપારીઓ પર ખાસ ધાક જોવા મળતી નથી. આ વિભાગે પોતાની કામગીરીની (પોલીસ માફક) મીડિયા પ્રસિદ્ધિની વાર્ષિક વિગતો જાહેર કરી છે. જેમાં દર્શાવ્યા મુજબ, આ વિભાગે વાર્ષિક લગભગ રૂ. પોણા બે કરોડ જેટલી આવક મેળવી છે.
આ કચેરીએ જામનગર અને દ્વારકા જિલ્લામાં વજનમાપનાં સાધનોની વાર્ષિક, દ્વિવાર્ષિક અને પંચ વાર્ષિક ચકાસણી ફી પેટે તથા મુંદ્રાકન ફી પેટે લેટ ફી સહિત કુલ રૂ. 1,57,38,671ની આવક મેળવી છે. આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં જામનગર અને દ્વારકા જિલ્લાના વ્યવસાયિક એકમો જેવાં કે -ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ અને એમેઝોનનાં બ્રાન્ડેડ પેકેઝડ, મેડિકલ સ્ટોર્સ, અનાજ કરિયાણાની દુકાનો, હોટેલ અને રેસ્ટોરન્ટ , મીઠાઈ તથા ફરસાણની દુકાનો ઉપરાંત હાર્ડવેર સહિતની ઔદ્યોગિક ચીજોની દુકાનો વગેરેનો સમાવેશ થાય છે.
આ વિભાગે વર્ષ દરમિયાન વિવિધ 6,900 એકમોની તપાસ કરી હતી. જે પૈકી 253 એકમો સામે વજનમાપ કાયદા હેઠળ રૂ. 1,58,600 તથા 22 એકમો વિરૂદ્ધ PCR નિયમોનાં ભંગ બદલ કાર્યવાહી કરી ગુન્હા માંડવાળ ફી તરીકે રૂ. 11,50,000 મળી કુલ રૂ. 13,08,600ની વસૂલાત કરવામાં આવી હતી. આ તપાસ અને કાર્યવાહી દરમિયાન 3 એકમોએ નાણાં જમા કરાવવા ઈન્કાર કરતાં નિયમો અનુસાર આ એકમો વિરૂદ્ધ જામનગરની અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે.વર્ષ દરમિયાન આ સઘળી કામગીરી જિલ્લા તોલમાપ અધિકારી જે.એચ.આદેશરાના માર્ગદર્શન હેઠળ નિરીક્ષક ડો.પી.ડી. સોલંકી વગેરે દ્વારા કરવામાં આવી હતી.