Mysamachar.in:જામનગર
જામનગર શહેરમાં વર્ષોથી શેરીઓમાં અને જાહેર માર્ગો પર રખડતાં કૂતરાંઓનો ભયાનક ત્રાસ છે. જેમાંથી હવે નગરજનોને છૂટકારો મળશે, આ દિશામાં આગળ વધવાની જાહેરાત મહાનગરપાલિકાએ કરી દીધી છે. કૂતરાંઓનો ત્રાસ મોટો વિષય છે. આ વિષય ગંભીર અને ચિંતાપ્રેરક છે. અવારનવાર એવું બને છે કે નાની ઉંમરનાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતનાં ઘણાં નગરજનોને કૂતરાંઓ બટકાં ભરી લ્યે છે. આ પીડા ખૂબ જ ગંભીર હોય છે. જેની વેદના અસહ્ય હોય છે અને સારવાર પણ અઘરી હોય છે. જીજી હોસ્પિટલ સહિતની હોસ્પિટલો અને દવાખાનાઓમાં આ પ્રકારનાં ઘણાં કેસ નોંધાતા રહે છે.
કૂતરાંઓનાં ત્રાસ અંગે નગરજનોએ અનેક વખત રજુઆતો પણ કરી છે. કોર્પોરેશનની ગત જનરલ બોર્ડની બેઠકમાં પણ કમિશનરે કહેલું કે, આ દિશામાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, નજીકનાં ભૂતકાળમાં આ દિશામાં થોડીઘણી કામગીરી પણ થયેલી. કોર્પોરેશનનાં સહયોગથી એક સ્વૈચ્છિક સંસ્થાએ થોડાં સમય માટે શહેરનાં વિવિધ વિસ્તારમાં કૂતરાંઓનું ખસીકરણ અને લોકોને રસીકરણની કામગીરી હાથ ધરી હતી. બાદમાં જો કે આ કામગીરી બંધ પણ થઈ ગઈ હતી.
આમ તો એનિમલ બર્થ કંટ્રોલ માટે ડોગ રુલ છેક 2001થી અમલમાં છે. પરંતુ આ દિશામાં ભાગ્યે જ ક્યારેય વિચારવામાં આવે છે. હવે આ દિશામાં કોર્પોરેશન આગળ વધશે. આજે સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરની દરખાસ્ત પર ખસીકરણ અને રસીકરણ કામગીરી શહેરમાં નવેસરથી હાથ ધરવા ધ્યાન આપ્યું છે. આ દરખાસ્તનો કમિટીએ સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે અને આજે આ નિર્ણયની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સૌ નગરજનોને અપેક્ષા છે જ કે, મહાનગરપાલિકાએ આ દિશામાં નોંધપાત્ર અને અસરકારક રીતે ઝડપથી આગળ વધવું જોઈએ.