Mysamachar.in:જામનગર
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં ગત્ 23મી જૂને બનેલી દુર્ઘટનાનાં મૃતકોના વારસોને જે સહાય જાહેર કરવામાં આવી છે તે સહાયનાં નાણાં સરકારનાં નિયમો અનુસાર સરકારનાં ટાઈમે મળી જશે. એ સિવાય આ દુર્ઘટના સંબંધે કોઈની કશી જવાબદારી નથી, એવું જાહેર થયું છે. આ પ્રકારના જર્જરિત મકાનોની સંખ્યા હજારોમાં છે. આ મકાનોનાં રહેવાસીઓ પર મોત ભમે છે ! ગમે ત્યારે, વધુ એક દુર્ઘટના સર્જાઈ શકે છે ! પરંતુ સરકારનાં હાઉસિંગ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે કે, આ જર્જરિત મકાનો અંગે અમારી કોઈ જવાબદારી રહેશે નહિ. તમે તમારાં જોખમે વસવાટ કરો અથવા મકાનો છોડી જતાં રહો.
હાઉસિંગ બોર્ડ દ્વારા અંદાજે 2,300 જેટલાં રહેવાસીઓને ફરીથી નોટિસ આપી દેવામાં આવી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં જે રહેવાસીઓ બોર્ડના મકાનોમાં રહે છે તે પૈકી 75 ટકા મકાનોનાં ધારકો સહમતી કેળવે તો તેઓને રાજ્ય સરકારની રિડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત નવા મકાનો બનાવી આપવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તે રહેવાસીઓએ એસોસિએશન બનાવી પોતાના પ્રતિનિધિઓ નક્કી કરી હાઉસિંગ બોર્ડની રાજકોટ સ્થિત કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે. અને ત્યારબાદ આ યોજના માટેની શરતો મુજબ તેઓ રિડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત નવા મકાનો મેળવી શકશે. જો કે તે માટે રહેવાસીઓએ કેટલો ખર્ચ ભોગવવાનો રહેશે ? તે હવે જાહેર થશે. અને જેઓ પાસે આ ખર્ચનાં નાણાં ન હોય તેઓ પાસે, દુર્ઘટનાનાં ભય હેઠળ જર્જરિત મકાનોમાં રહેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ હાલ બચ્યો નથી !
આ દુર્ઘટના પરથી સૌએ બોધપાઠ એ લેવાનો રહે છે કે, કોર્પોરેશન નિર્મિત આવાસોની હાલત (ઉદાહરણ : અંધાશ્રમ 1,404 જર્જરિત આવાસો) બગડી જશે પછી, હજારો પરિવારોનું શું થશે ?! જેઓ પાસે નાણાં નથી તેઓએ દુર્ઘટનાની રાહ જોવાની રહી ! સૌને ઘરનું ઘર યોજના હેઠળ ગરીબ લોકોની સ્થિતિ છેલ્લે શું થઈ શકે છે ? એ પ્રશ્નનો કાતિલ જવાબ સાધના કોલોની દુર્ઘટનામાં મળી ગયો છે !