Mysamachar.in:જામનગર
જામનગર સહિતનું ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે અને ભૌગોલિક રીતે પણ ગુજરાતનો દરિયાકિનારો શિપ બિલ્ડિંગ અને શિપ બ્રેકિંગ વ્યવસાય માટે ખૂબ જ આશિર્વાદરૂપ હોવાં છતાં, સરકારની ઉદાસીનતાને કારણે ગુજરાતમાં દરિયાકિનારે આ વ્યવસાય ધમધમતો નથી ! શિપ બિલ્ડિંગ અને શિપ બ્રેકિંગ વ્યવસાય રાજ્યભરમાં લાખો લોકોને સીધી અથવા આડકતરી રોજગારી આપવા સક્ષમ લેખાય છે અને જો આ બંને પ્રવૃતિઓ ગુજરાતનાં દરિયાકિનારે રાતદિવસ ધમધમતી થાય તો, રાજ્યનાં સમગ્ર અર્થતંત્રને મોટું બુસ્ટ મળી શકે તેમ છે. પરંતુ કમનસીબે, આ ક્ષેત્રમાં રાજય સરકારનો બંદર વિભાગ સક્રિય ન હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે ! આ વિભાગ ખુદ મુખ્યમંત્રી પાસે છે ત્યારે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે, જામનગર સહિત રાજ્યભરમાં દરિયાકિનારે આ પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ સર્જાય.
અત્રે નોંધનીય છે કે, જામનગરનું સચાણા શિપબ્રેકિંગ યાર્ડ પણ એક જમાનામાં ધમધમતું હતું. જે આજે ડેડ છે ! આ સ્થળે ફરીથી શિપ બ્રેકિંગ યાર્ડ ધમધમશે એવાં અહેવાલો પાછલાં વર્ષોમાં એક કરતાં વધુ વખત ચમક્યા ખરાં પણ આ અહેવાલો માત્ર આંબા આંબલી પૂરવાર થયાં ! ગ્રાઉન્ડ લેવલ પર એવી કોઈ જ સક્રિયતા સ્થાનિક સ્તરે કે પછી ગાંધીનગર સ્તરે જોવા કે અનુભવવા મળતી નથી ! સચાણા શિપબ્રેકિંગ યાર્ડ ક્યારેય સજીવન થશે ?! કયારે થશે ?! આ પ્રકારના પ્રશ્નો લાંબા સમયથી લોકો પૂછી રહ્યા છે, જેનાં સ્પષ્ટ ઉતરો જામનગરથી માંડીને ગાંધીનગર સુધી, કોઇની પાસે ન હોય તેવી ગંભીર સ્થિતિ છે !
સચાણા શિપબ્રેકિંગ યાર્ડને ધમધમતું કરવામાં આવે તો સમગ્ર જિલ્લાના અર્થતંત્રને બુસ્ટ મળી શકે તેમ છે અને સ્થાનિક સ્તરે ઘણાં લોકોને સીધી અથવા આડકતરી રોજગારી પણ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. પરંતુ ગાંધીનગરને આ દિશામાં ગંભીર રીતે આગળ વધવા મજબૂર કોણ કરે ?! કરી શકે ?! એ પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકાર શિપ બિલ્ડિંગ વ્યવસાયને આગળ વધારવા ઉત્સુક હોવાનું જાણવા મળે છે. પરંતુ શિપ બ્રેકિંગ વ્યવસાય અંગે ગાંધીનગર ખાતે કોઈ હલચલ જોવા મળતી નથી ! સૌરાષ્ટ્રનું એકમાત્ર અલંગ પોતાની રીતે આ વ્યવસાયમાં માથાફોડી કરી રહ્યું છે જેને પણ રાજય સરકારનો સક્રિય સહયોગ કે પ્રોત્સાહન નથી ! આ સ્થિતિમાં જામનગરનો સચાણા અંગેનો અવાજ ગાંધીનગર ખાતે કયારે પડઘાશે ?! એ પ્રશ્નનો જવાબ મેળવવાની સૌને તમન્ના છે.
એવું કહેવાય છે કે, સરકાર ભાવનગર, હજીરા, નવસારી અને ભરૂચ જિલ્લામાં શિપ બિલ્ડિંગ વ્યવસાયને આગળ વધારવા સળવળાટ અનુભવે છે. શિપ બ્રેકિંગ વ્યવસાય માટે જામનગર જિલ્લામાં સળવળાટ કયારે શરૂ થશે ?! સળવળાટ થશે કે કેમ ?! એ પ્રશ્ન વધુ ગંભીર જણાઈ રહ્યો છે.