Mysamachar.in-જામનગર:
જામનગર એક અજીબ શહેર છે. નાના-નાના પરચૂરણ કામોના ઢોલ પિટવામાં આવે અને તોતિંગ કામો ગૂપચૂપ શરૂ થઈ જાય છે ! કાયદેસરના કામોમાં ‘જશ’ ખાટી લેવામાં વાંધો શું હોય શકે.? એવો પ્રશ્ન કાલે સપાટી પર એટલાં માટે આવ્યો કેમ કે, કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ મૂંગા મોંએ શરૂ કરી દેવામાં આવ્યો..?
જામનગર મહાનગરપાલિકાએ થોડાં સમય પહેલાં જાહેર કરેલું કે, શહેરમાં રૂપિયા 600 કરોડના ખર્ચથી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આકાર લેશે.( જો કે આ પ્રોજેક્ટનો DPR- ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ હજુ બન્યો નથી). આ પ્રોજેક્ટ સારો છે, નદીના માર્ગ પરના દબાણો દૂર થશે. શહેરને નવું નજરાણું મળશે. નદીની ગંદકી ભૂતકાળ બની જશે. આ વિસ્તારોની જમીનોના ભાવો ઉંચકાશે. વિકાસની ગતિ તેજ બનશે. ખરેખર તો આ પ્રકારના પ્રોજેક્ટનો મંગલ પ્રારંભ થતો હોય ત્યારે રંગેચંગે તેનો ઢોલ પિટવો જોઈએ. અને પ્રોજેક્ટની પ્રાથમિક તથા સંપૂર્ણ રુપરેખા અંગે નગરજનોને સત્તાવાર રીતે જાણકારી આપવી જોઈએ.
જો કે આ પ્રોજેક્ટ હજુ સુધી અધ્ધરતાલ જ છે, તેની કોઈ જ સતાવાર જાહેરાત હજુ સુધીમાં થઈ નથી. એક વખત સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રોજેક્ટનો માત્ર સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે. રાજય સરકાર આ પ્રોજેક્ટ અંગે હજુ સુધી એક પણ શબ્દ બોલી નથી. રાજય સરકારે જામનગરના જે રૂપિયા 432 કરોડના વિકાસકામોનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યો છે તેમાં પણ આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો સમાવેશ નથી.
આમ છતાં, કાલે સોમવારે કેટલાક કર્મચારીઓ અને શ્રમિકો નદીના પટમાં પહોંચી ગયા. તેઓએ ફોટોગ્રાફરોને પણ કયાંકથી શોધી લીધાં અને અધૂરી તથા ખોટી વિગતો બિનસતાવાર રીતે વહેતી કરવામાં આવી.!! આટલી બધી ઉતાવળ શેની હતી ?! અને આ સ્થળે જિલ્લા વહીવટીતંત્ર તથા કોર્પોરેશનના કોઈ ઉચ્ચ અધિકારીઓ કે પદાધિકારીઓ પૈકી કોઈ હાજર ન હતું ! અને આવડો તોતિંગ પ્રોજેક્ટ શરૂ થઈ ગયાના સંકેતો બિનસતાવાર રીતે વહેતાં કરવામાં આવ્યા ! અને સંબંધિતોએ આ તકે એ પણ કાળજી અને તકેદારી લીધી કે, આ કામ પૂનાની એક પાર્ટીને સોંપવામાં આવ્યું છે એવી વિગતો શહેરમાં ફરતી થાય !!
સોમવારે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે- એવું દેખાડવાની કોને, શું ઉતાવળ હતી ?! આ પ્રોજેક્ટનું બેઝિક પેપર વર્ક કે કાયદાકીય કોઈ પ્રક્રિયા શરૂ નથી થઈ ત્યારે, સોમવારે આ સ્થળ પર કોણ, શા માટે અને કોની સૂચનાથી ગયું હતું ?! વગેરે પ્રશ્નો નગરજનોને ઉઠી રહ્યા હોય, આ અંગે સતાવાર જાહેરાત થાય તો લોકોને સાચી વિગતો મળી શકે.