Mysamachar.in-જામનગર
સામાન્ય રીતે મકાન કે દુકાન ભાડે આપનાર માલિક 11 માસનો કરાર કરતા હોય છે, પણ આવા કરાર પછી પણ અમુક લોકો જે તે મિલકતને પચાવી પાડવાની કોશીશ કરતા હોય છે, જામનગરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એક એવી જ ફરિયાદ દાખલ થઇ છે જેમાં 11 માસના કરાર બાદ ભાડું આપવાનું બંધ કરી દઈ અને મકાન પર કબજો કરી લેનાર શખ્સ સામે ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં દાખલ થઇ છે.
દાખલ થયેલ ફરિયાદ પર નજર કરવામાં આવે તો કાલાવડ નાકા બહાર રેહતા ફરિયાદી શબ્બીર હુસેન હડીયાનાવાળાએ યુસુફ વાહીદ સમા નામના વ્યક્તિને પોતાની કાયદેસરની માલીકીનું મકાન અગિયાર માસના રૂ.4000 ના ભાડા કરાર આધારે આપેલ હોય જે મકાનનું આરોપીએ ફરિયાદીને ભાડું આપવાનું બંધ કરી ભાડા કરાર તા.01-02-2019 ના પુર્ણ થઇ ગયેલ હોય તેમ છતાં ફરીયાદીના મકાનમાં કાયદેસરના ભાડુઆત ન હોવા છતા ગેરકાયદેસર કબ્જો જમાવી મકાન પચાવી પાડવા સબબની આ ફરિયાદ નોંધાયા બાદ ASP નીતેશ પાંડે આગળની તપાસ ચલાવે છે.