Mysamachar.in:જામનગર
જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાંબા સમય બાદ, આજે સવારથી સક્રિયતા દેખાડવામાં આવી છે. આજે મંગળવારે સવારથી આ કચેરીની બે ટીમ દ્વારા સ્થળ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ખાસ કરીને, શહેરની રંગમતી નદીમાં ઠલવાતાં પ્રદૂષણ મુદ્દે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ઈલેક્ટ્રોપ્લેટીંગ વ્યવસાય સાથે સંકળાયેલા કારખાનાઓમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, આ તપાસ દરમિયાન આખરે શું થયું ? એ પ્રશ્નનો જવાબ મળતાં સમય લાગશે. કેમ કે, લગભગ સાંજ સુધી આ તપાસણી કામગીરી ચાલુ રહેશે, એવું સમજાઈ રહ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે સંકળાયેલા સૂત્રો કહે છે : આજે સવારથી જામનગર નજીકના દરેડ ગામમાં રહેણાંક વિસ્તારમાં સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે. બોર્ડને જાણકારી મળી હતી કે, દરેડના કેટલાંક રહેણાંક વિસ્તાર એવા છે જ્યાં મંજૂરી વિના જ ગેરકાયદે કારખાનાઓ ધમધમે છે !
આ કારખાનાઓ પૈકી અમુક યુનિટ ઈલેક્ટ્રોપ્લેટીંગનાં છે. આ વ્યવસાય પ્રદૂષણ મુદ્દે ખતરનાક છે. આ ધંધાર્થીઓ પોતાનાં કારખાનાં આસપાસની જમીન તથા પાણીમાં ઝેરી પ્રદૂષણ ફેલાવતાં હોય છે ! આ કારખાનાઓમાંથી નીકળતું વપરાશી પાણી અત્યંત જોખમી, તેજાબી, ગંદુ અને માનવ તથા પશુઓનાં જીવન માટે તો ભયાનક હોય જ છે, આ ઉપરાંત આસપાસના જમીન-પાણીને પણ આ કારખાનાંઓ ઝેરી અસરો આપે છે ! નવાઈની વાત એ છે કે, આવાં ઔદ્યોગિક યુનિટસ રહેણાંક વિસ્તારમાં પણ ધમધમે છે ! જામનગરની ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ કચેરી ક્યાં છે ?! આ કચેરીનાં અધિકારીઓ શું કરે છે ?! તેઓ કેમ, ક્યારેય, કોઈ જ ચિત્રમાં નથી દેખાતાં ?! તેઓ ખાનગીમાં ‘કામ’ કરે છે ?!
આજે સવારથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બે ટીમ(કુલ ચાર અધિકારીઓ અને કર્મચારીઓ) દ્વારા દરેડ રહેણાંક વિસ્તાર ઉપરાંત રંગમતી નદીનાં વિસ્તારોમાં સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે. દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા કેટલાંક કારખાનાંઓ પોતાનાં ઝેરી પાણીને રંગમતી નદીમાં ઠાલવવાનો ખેલ પાડી રહ્યા હોવાની તેજાબી ચર્ચા છેલ્લાં કેટલાંક સમયથી શહેરમાં વ્યાપક પ્રમાણમાં સાંભળવા મળે છે. આ ચર્ચાઓ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુધી પહોંચતા આજે આ કચેરી સ્થળ તપાસ માટે નીકળી છે. ઔદ્યોગિક વિસ્તારના ગંદા, જોખમી અને ઝેરી પાણીને નદીમાં ઠાલવવાનો જે ખેલ પડ્યો છે, તે અંગે જામનગર મહાનગરપાલિકા અજાણ હોવાનું દેખાઈ રહ્યું છે !
-શંકરટેકરી ઉદ્યોગનગરમાં શું સ્થિતિ છે ?!?!
માત્ર દરેડના ઉદ્યોગનગરો જ પ્રદૂષણ ફેલાવે છે એવું નથી ! શંકરટેકરી ઉદ્યોગનગરમાં પણ અસંખ્ય કારખાનાં છે. સંખ્યાબંધ ઈલેક્ટ્રોપ્લેટીંગ યુનિટસ છે. આ કારખાનાઓ રાતદિન ઝેરની ઉલટીઓ કરે છે ! આ ઝેરનાં નિયંત્રણ માટે શંકરટેકરી ઉદ્યોગનગરમાં વર્ષોથી કોઈ વ્યવસ્થા નથી ! એસોસિએશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પોતાનાં કામોમાં વ્યસ્ત છે ! ઉદ્યોગો શહેરને ઝેરની ભેટ આપી રહ્યા છે ! આ ઝેરી પ્રવાહીને ટ્રીટમેન્ટ આપી, આ પ્રવાહીને ફરીથી વપરાશ યોગ્ય પાણી બનાવવાનો પ્લાન્ટ દરેક ઉદ્યોગનગર વિસ્તારમાં ફરજિયાત છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારનાં આ માટેનાં કાયદાઓ, નિયમો અને જોગવાઈઓ કડક છે. પરંતુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના સ્થાનિક તંત્રો ‘ઉદાર’ હોવાથી, જામનગરમાં ઉદ્યોગકારોને ખાસ કશી ચિંતા નથી, તંત્રોને સાચવી લેવા સિવાયની !
ખૂબીની વાત એ છે કે, ગાંધીનગરથી કોઈ દિવસ જામનગરમાં ઉદ્યોગ સંબંધિત પ્રદૂષણ અંગે ચેકીંગ આવતું જ નથી ! ઉદ્યોગકારો નસીબદાર છે, એવું ઘણી જગ્યાએ સાંભળવા મળતું રહે છે ! બીજી બાજુ શહેરમાં પર્યાવરણ અંગે ક્યાંય, કોઈને, કશી ચિંતા ન હોવાની સ્થિતિ જોવા મળી રહી છે !