Mysamachar.in-જામનગર:
શહેરના વિવિધ વિસ્તારોની પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાત અનેક હોય છે, જેમાંની કેટલીક જરૂરિયાતો સમયાંતરે પૂરી થતી હોય છે, બીજી કેટલીક જરૂરિયાતો વરસો સુધી સંતોષાતી હોતી નથી, જેને કારણે કરદાતા નગરજનોમાં ફરિયાદ અને અસંતોષ તથા નારાજગી જોવા મળતી હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિકાસકામો પાછળ એક અલગ પ્રકારનું ગણિત અથવા વિજ્ઞાન હોય છે. સૂત્રોએ વ્યક્ત કરેલી આ આશંકાઓ સમજવા જેવી છે પરંતુ ખરેખર જો એમ હોય, તો આ આખો મુદ્દો વિચારવાલાયક લેખાય. કારણ કે, નગરના સૌ કરદાતા રહેવાસીઓની સરેરાશ અપેક્ષાઓ શહેરના સંતુલિત વિકાસની હોય છે.
મહાનગરપાલિકા થોડા થોડા સમયે વિવિધ વોર્ડ માટે વિકાસકામોની જાહેરાતો કરતી હોય છે, જેમાં અમુક વોર્ડ અથવા વિસ્તાર વધુ નસીબદાર હોય છે, એવી એક સામાન્ય માન્યતા હજારો નગરજનો ધરાવતાં હોય છે. આ માન્યતા સાચી છે? કેટલે અંશે સાચી છે? અને જો માન્યતા સાચી છે તો તેની પાછળનું અસલી ગણિત શું હોય શકે.? આ પ્રકારના વિવિધ પ્રશ્નોના સત્યની નજીકના જવાબો મેળવવા Mysamachar.in દ્વારા નગરના કેટલાંક પ્રબુદ્ધ નાગરિકો સાથે જનરલ વાતચીત કરવામાં આવી. આ ચર્ચાઓ દરમિયાન એક મુદ્દો એવો સપાટી પર આવ્યો કે…
શહેરના વગદાર બિલ્ડર્સ મહાનગરપાલિકાના ‘વિકાસકામો’ નો અંગત ફાયદાઓ માટે ઉપયોગ અને દુરુપયોગ કરી લેતાં હોય છે. તેઓ શાસન અને તંત્રની એકદમ નજીક હોય છે. અને, સૂત્રોએ એમ પણ કહ્યું કે, આવા બાહુબલિઓની સંખ્યા આંગળીના ટેરવે ગણી શકાય છે. જેઓ મહાનગરપાલિકાને પાછલે દરવાજે ગોડફાધરોની કૃપાથી જરૂરિયાત મુજબ ઓપરેટ કરે છે. અને અંગત ફાયદાઓ સતત ઉઠાવતાં રહે છે.શહેરના વિવિધ વોર્ડ વિસ્તારના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહો સૌ હોંશે હોંશે ઉજવતાં હોય છે, તેની પાછળના પ્રેરકબળો હંમેશા અદ્રશ્ય રહેતાં હોય છે અને મહોરાંઓ ફોટાઓમાં હાસ્ય વેરતાં દ્રશ્યમાન થતાં રહેતાં હોય છે.
આ ચર્ચાઓમાં એ મુદ્દાનો પણ ઉલ્લેખ થયો કે, શહેરના ચોક્કસ વિસ્તાર કે પેટા વિસ્તારમાં કોઈ વગદાર બિલ્ડર્સનો પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં અથવા અગાઉ રહસ્યમય રીતે સંબંધિત વિસ્તારને મહાનગરપાલિકામાં વિકાસ નામની લોટરી લાગે છે! અને સંબંધિત વિસ્તાર અચાનક લાડલો વિસ્તાર બની જાય, સૌ એ વિસ્તારને પ્રેમ કરવા માંડે. અને સંબંધિત બિલ્ડર્સનો પ્રમાણમાં ઉંચા ભાવવાળો પ્રોજેક્ટ ગણતરીના સમયમાં આખેઆખો વેચાણ થઈ જાય અને તોતિંગ નફો તિજોરી સુધી પહોંચી જાય. આ કળા એક બે બિલ્ડર વધુ સારી રીતે જાણે છે અને સફળ રીતે અમલમાં મૂકી રહ્યા છે એ મુદ્દો પણ હાલ ચર્ચાઓમાં છે.
ખરેખર જો આમ હોય તો આખો મામલો ગંભીર લેખી શકાય, નગરજનોની સરેરાશ અપેક્ષાઓ શહેરના સમતોલ વિકાસની હોય છે કારણ કે સૌ એવું ઈચ્છતા હોય છે કે, કોઈ પણ કરદાતા નગરજનને નુકસાન ન થવું જોઈએ, ન અન્યાય થવો જોઈએ અને શહેરના વિકાસનો લાભ સૌને મળતો રહે. કારણ કે, સાચું સુખ સૌના સાથ અને સૌના વિકાસમાં સમાયેલું છે.ચર્ચાઓમાં એવી પણ આશંકાઓ વ્યક્ત થઈ કે, માત્ર વિકાસકામો જ નહીં, ચોક્કસ વિસ્તારોમાં આવાસ યોજના ‘બેસાડવા’ પાછળ પણ આવું જ કાંઈક અંકગણિત હોવાની શકયતાઓનો પણ સૂત્રો ઈન્કાર કરતાં નથી.