Mysamachar.in:જામનગર
જામનગર BJPનો વિવાદ શમી ગયો છે અથવા કડક રીતે શમાવી દેવામાં આવ્યો છે એવું બધે જ ચર્ચાઈ રહ્યું છે પરંતુ પક્ષનાં કોઈ પ્રવક્તા કે અન્ય કોઈ દ્વારા આ જાહેરાત સતાવાર રીતે કરવામાં આવી નથી. અથવા તો ત્રણેય મહિલા નેતાઓ મુખ્યમંત્રી કે પ્રદેશ અધ્યક્ષ સાથે ઉભાં હોય અથવા ચર્ચા કરી રહ્યા હોય એવી કોઈ તાજી તસવીર કે વીડિયો પણ સતાવાર રીતે જાહેર થયો નથી. જાહેરમાં થયેલી આ બબાલને પારિવારીક મામલો લેખાવી ગરમાગરમ વિવાદ પર સમાધાનની માટીનું લીંપણ કરી દેવામાં આવ્યું છે- એવા સંકેતો લોકોમાં ગયા છે.
જામનગરનો આ વિવાદ જાહેરમાં થયો હતો. જેને પારિવારીક મુદો લેખાવવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને એ નથી સમજાતું કે પરિવારનાં કપડાં જાહેરમાં શા માટે ધોવામાં આવ્યા…? શા માટે કપડાં જાહેરમાં ધોકાવવામાં આવ્યા ? અને શા માટે આ કપડાં જાહેરમાં ખંખેરવામાં આવ્યા ?! શહીદોને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ હોય અને અમર જવાન સ્મારકનાં આંગણે આવડી મોટી બબાલ જાહેરમાં થાય એ મુદો પોતે જ બહુ મોટો છે. અને આ બબાલ છેક દિલ્હી સુધી પહોંચી ! પ્રદેશ અધ્યક્ષ બેત્રણ દિવસ આ મુદે મીડિયાકર્મીઓથી દૂર રહેતાં હતાં કેમ કે, સમગ્ર રાજયમાં વિવાદની આ આગમાં પક્ષ દાઝયો છે. અત્રે એ પણ નોંધનીય છે કે, તાજેતરમાં જ પક્ષનાં બે પ્રદેશ મહામંત્રીઓ પક્ષમાંથી દૂર થયા હોય, પક્ષ આમેય સદમો અનુભવી રહયો હતો ત્યાં જામનગરમાં આગ લાગી !
જામનગરની ઘટનામાં કથિત સમાધાનની વિગતો બિનસતાવાર રીતે જાહેર કરવામાં આવી છે ત્યારે સર્વત્ર ચર્ચાઓ એ છે કે, આ સમાધાન કેટલાં પ્રમાણમાં થયું છે અને કેવું થયું છે ? એ પ્રશ્નોનાં જવાબો આગામી દિવસોમાં મળશે કેમ કે હવે પછી યોજાનારા જાહેર કાર્યક્રમોમાં તથા પક્ષમાં આંતરિક બાબતોમાં શું શું બને છે ? તે અંગે પણ લોકોમાં ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.
જાહેરમાં થયેલી આ બબાલનું ઘરમેળે જે કથિત સમાધાન થયું તે પછી મેયરે મીડિયાકર્મીઓ સમક્ષ જણાવ્યું કે, આ અમારો પારિવારીક મામલો હતો. જે કાંઈ ગેરસમજો હતી તે દૂર થઈ છે. જો કે તેઓએ એ પણ જાહેરમાં સ્વીકાર્યું હતું કે આ સ્વમાન અને સ્વાભિમાનનો મુદો હતો.