Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં થોડાં થોડાં સમયનાં અંતરે વિવિધ પ્રકારના જાહેરનામાંઓ પ્રગટ થતાં હોય છે. આ પ્રકારના પ્રતિબંધાત્મક આદેશો પાછળનો ઉદ્દેશ ખૂબ જ સારો હોય છે. હેતુઓ જાહેર જનતાનાં હિતોની જાળવણી માટે તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિને બરકરાર રાખવાનાં આશયથી આ પ્રકારના આદેશો જિલ્લા સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવતાં હોય છે. જેમાં સૂચનાઓ હોય છે અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હોય છે.
આ પ્રકારના આદેશોનું પાલન કરાવવાની જવાબદારી સંબંધિત કાર્યક્ષેત્રમાં આવતી પોલીસની હોય છે. પોલીસવિભાગ આ આદેશોના ભંગ બદલ ગુન્હાઓ પણ નોંધતો હોય છે. આટલી કસરતો પછી પણ આપણે સૌ જાણીએ છીએ એમ, સામાન્ય રીતે આ પ્રકારના આદેશો અને વાસ્તવિકતાઓ વચ્ચે આભજમીનનો તફાવત જોવા મળતો હોય છે કેમ કે, કેટલાંક આદેશો જનસાધારણની રહેણીકરણી સાથે મિસમેચ હોય છે.
આદેશોનું પાલન ઘણી વખત વાસ્તવમાં શક્ય પણ નથી હોતું. ઘણાં કિસ્સાઓમાં અમલવારી કરાવનાર તંત્ર પણ બહુ ઉંડુ ઉતરતું નથી હોતું ! અને, કેટલાંક પ્રતિબંધો એવાં પણ હોય છે જેનો ચુસ્ત અમલ કરાવવામાં આવે તો અન્ય પ્રશ્નો ઉભાં થઇ શકે ! ઘણાં આદેશો એવાં પણ હોય છે જેનાં અમલ બાબતે ખુદ સરકાર એટલે કે, સ્થાનિક તંત્રો પોતે લિબરલ હોય છે, બાંધછોડ કરતાં હોય છે ! એટલે એકંદરે, અમુક પ્રતિબંધાત્મક જાહેરનામાંઓ માત્ર કાગળની કસરતો બની રહે છે !!
અત્રે આપણે બે જાહેરનામાંઓ ઉદાહરણ તરીકે તપાસીએ.
એક: જામનગરનાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની સહીથી પંદરમી ઓક્ટોબરે ફટાકડા ફોડવા સંબંધે જાહેરનામું પ્રકાશિત કરવામાં આવ્યું. જેમાં લખાયું છે: દીવાળી તહેવારોમાં ફટાકડાઓ રાત્રે આઠથી દસ વાગ્યા સુધીમાં જ ફોડી શકાશે ! રાત્રે દસ પછી ફટાકડા ફોડી શકાશે નહીં. આપણે સૌ જાણીએ છીએ કે, ફટાકડાઓ રાતભર કેટલાં પ્રમાણમાં ફૂટતાં રહે છે ?! આ ઉપરાંત ફટાકડાનાં પ્રકારો અને ફટાકડાનાં અવાજો અંગે તેમજ શહેરમાં કયા કયા સ્થળે ફટાકડા ન ફોડી શકાય વગેરે બાબતો અંગે જાહેરનામાંમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઘણું બધું લખવામાં આવ્યું છે. જેની લાંબી ચર્ચા અત્રે સ્થળ સંકોચને કારણે શક્ય નથી.
ઉદાહરણ બે: રાજ્યનાં માર્ગ અને બંદર વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં, શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં, જુદી જુદી કેટેગરી ના હાઈવે તથા રસ્તાઓ પર, જુદાં જુદાં પ્રકારનાં વાહનો વધુમાં વધુ કેટલી ગતિએ ચલાવી શકાશે ?! તે અંગે તેમાં સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. અકસ્માતો નિવારવા માટેનાં સારાં આશયથી પ્રગટ થયેલું આ નોટિફિકેશન કેવી રીતે અમલમાં મૂકી શકાશે ? તે અંગેની કોઈ વ્યવસ્થા જાહેર કરવામાં આવી નથી. ઉપરાંત જાહેરનામાં માં નિર્દિષ્ટ કેટલીક બાબતો હાસ્યાસ્પદ પણ દેખાઈ રહી છે ! દાખલા તરીકે તેમાં લખવામાં આવ્યું છે કે, મહાનગરપાલિકા વિસ્તારોમાં ફલાણું વાહન વધુમાં વધુ 60 અથવા 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાશે !સરકારનાં ધ્યાનમાં એ હોવું જોઈએ કે, મહાનગરપાલિકા વિસ્તારોમાં એટલે કે શહેરોમાં વાહનો ગાડાની ગતિએ જ ચલાવી શકાય છે ! શહેરોમાં નિયમો વિરુદ્ધ હજારો સ્પીડ બ્રેકર્સ ખડકાયેલાં હોય છે. ખાડાઓ હોય છે. રસ્તાઓ ખરાબ હોય છે. ટ્રાફિક જામ વારંવાર સર્જાતા રહે છે !!
આ પ્રકારના વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટેનાં આદેશો વિદેશોમાં યોગ્ય લેખાય, આપણે ત્યાં વાસ્તવિકતાઓ વિચિત્ર હોય છે. બીજું અમલવારી કરાવનાર તંત્ર પાસે પૂરતાં કર્મચારીઓ કે સાધનો પણ હોતાં નથી. અને, વાહનો સ્પીડમાં ચલાવી શકાય, એવાં રસ્તાઓ ક્યાં ?! ખરેખર તો અકસ્માતો નિવારવા વાહનચાલકોને સીધાં દોર કરવા આવશ્યક છે. તેઓ માર્ગ સલામતિ નાં નિયમોનો છડેચોક ભંગ કરે છે ! તેઓને કોઈ કશું કહેતું નથી ! સંખ્યાબંધ વાહનચાલકો નશો કરીને વાહનો દોડાવતાં હોય છે, જેને અસરકારક રીતે દંડવાની કાર્યવાહી ક્યાંય થતી નથી ! માર્ગોની ડિઝાઇન તથા ખરાબ સ્થિતિને કારણે પણ ઘણાં અકસ્માત થતાં રહે છે, જેને ઘટાડવા કોઈ અસરકારક કામગીરી થતી નથી ! આવી અરાજક સ્થિતિમાં વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટેનાં નોટિફિકેશનનો ખાસ કોઈ અર્થ રહેતો નથી, એવું સરેરાશ નાગરિક પણ સમજે છે !!