Mysamachar.in: મોરબી
લોકસભા ચૂંટણીઓની જાહેરાત થતાં જ જામનગર સહિત સમગ્ર રાજયમાં દરેક જિલ્લાઓમાં કલેક્ટરો દ્વારા હથિયારોના પરવાનાધારકોને પોતાના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનોમાં જમા કરાવવા અંગેના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે, દરેક ચૂંટણીઓ વખતે આ પ્રકારની રૂટિન ગતિવિધિઓ હાથ ધરવામાં આવતી હોય છે. જો કે, આ વખતે આ પ્રકારના જાહેરનામાને એક જિલ્લામાં વડી અદાલતમાં કાનૂની પડકાર આપવામાં આવ્યો છે. જેની સુનાવણી આગામી શુક્રવારે થશે.
દરેક જિલ્લાઓની માફક મોરબી જિલ્લામાં પણ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જ્યાં એક વકીલ દ્વારા આ જાહેરનામાને પડકારવામાં આવ્યું છે. જયદીપ પંચોટીયા નામના એક વકીલે આ અરજી કરી છે. તેણે પોતાના વકીલ મારફતે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી કલેક્ટરના આ હુકમની બંધારણીય યોગ્યતા અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે.
કલેક્ટરના હુકમમાં જણાવાયું છે કે, ચૂંટણીઓ અનુસંધાને દરેક પરવાનાધારકે પોતાનું હથિયાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે. આ જાહેરનામું CRPCની કલમ 144ની જોગવાઈ આધારિત હોય છે. અને, જ્યાં સુધી ચૂંટણી આચારસંહિતા અમલમાં રહેશે ત્યાં સુધી આ હુકમ અમલમાં રહેશે એમ જણાવાયું છે.
આ પિટિશનમાં અરજદારે જણાવ્યું છે કે, હથિયારો જમા કરાવવા અંગે એક ખાસ પ્રોસિજર હોય છે. અને આ પ્રોસેસ પૂર્ણ કરવા દરેક જિલ્લામાં એક ખાસ સ્ક્રીનિંગ કમિટીની રચના કરવાની હોય છે. જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ કર્યા વગર, તમામ પરવાનાધારકો પોતાના હથિયાર જમા કરાવી દે, એ પ્રકારનો હુકમ બહાર પાડી શકાય નહીં. આ હુકમ બંધારણીય હક્કનો ભંગ કરે છે અને પરવાનાધારકની સલામતીનો મુદ્દો પણ ઉપસ્થિત થાય છે.આ અરજદારે વડી અદાલતને વિનંતી કરી છે કે, મોરબી જિલ્લા કલેક્ટરના ઉપરોકત હુકમને રદ્દ કરવા અંગે અદાલત નિર્દેશ આપે.