Mysamachar.in-જામનગર
આજે, મંગળવારે 31 જાન્યુઆરીએ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કમિશ્નરે કરદરવધારા સૂચવતું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. જો કે, આ અંગે આખરી નિર્ણયો જનરલ બોર્ડની બજેટ બેઠકમાં, ચર્ચાઓને અંતે થશે. અને એ પહેલાં આ ડ્રાફ્ટ બજેટ અંગે સ્ટેન્ડિંગ કમિટી પોતાની ભલામણો અને સુધારા-વધારા જણાવશે અને પછી બજેટને જનરલ બોર્ડની બેઠકમાં મંજૂરી અર્થે રજૂ કરશે.
આજે બપોરે કમિશનર વિજયકુમાર ખરાડીએ જામનગર મહાનગરપાલિકા માટેનું વર્ષ 2022-23 માટેનું રિવાઈઝડ બજેટ તથા વર્ષ 2023-24 (આગામી નાણાંકીય વર્ષ) માટેનું 1079.40 કરોડનું 141.85 કરોડની પુરાંત વાળું અને 53 કરોડના વધારાના કરબોજ સૂચવતું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયાને સુપ્રત કર્યું. આ તકે મેયર, ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર વગેરે તથા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
કમિશનર દ્વારા રજૂ થયેલાં ડ્રાફ્ટ બજેટમાં કરદરવધારાઓ સૂચવવામાં આવ્યા છે. તેઓએ પોતાની બજેટ સ્પીચમાં કહ્યું : સપ્રમાણ-સમતોલ કરબોજ સૂચવવામાં આવ્યા છે. જે શહેરનાં વિકાસ માટે તથા જામનગર મહાનગરપાલિકા આત્મનિર્ભર બને તે માટે આવશ્યક છે.
કરદરવધારાઓ અંગે ડ્રાફ્ટ બજેટમાં સૂચવવામાં આવ્યું છે કે, લઘુત્તમ મિલકતવેરાના દરોમાં 90 ટકા સુધીનો ( તોતિંગ!) વધારો કરવામાં આવે !! આ ઉપરાંત ક્ષેત્રફળ આધારિત પ્રોપર્ટી ટેક્સ માટેનાં મંજૂર થયેલાં નિયમો અન્વયે ભારાંકમાં પણ 75 થી 100 જેટલો વધારો સૂચવવામાં આવ્યો છે. આ સાથે જ, દસ્તાવેજ નામ ટ્રાન્સફર દરોમાં વધારો, કન્ઝરવન્સી અને સુઅરેજ દરોમાં વધારો, વ્હીકલ ટેકસમાં વધારો ,વોટર ચાર્જમાં વધારો, ફલેટધારકો પર મોટો વધારો, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં વધારો એમ લગભગ બધાં જ ટેકસ અને ચાર્જમાં વધારો સૂચવવામાં આવ્યો છે.
આ સાથે કોર્પોરેશનની કામગીરીઓ અંગે ડ્રાફ્ટ બજેટમાં કહેવામાં આવ્યું છે કે, રણજિતસાગર ડેમ પાંચ કરોડનાં ખર્ચે મજબૂત બનાવવામાં આવશે. નવા હદ વિસ્તારોમાં ડિમાન્ડ મુજબ પાણી પહોંચાડવા રૂ. 120 કરોડનાં ખર્ચે ઉંડ ડેમથી નવી પાણીની પાઈપલાઈન પાથરવામાં આવશે. શહેરમાં પાણીની જૂની પાઈપલાઈનો બદલવા રૂ. 21.50 કરોડનો ખર્ચ કરવામાં આવશે. રૂ. 13.50 કરોડનાં ખર્ચે વોટર વર્કસના અન્ય કામો હાથ ધરવામાં આવશે. ઘરેઘરે નળ પહોંચાડવા વધુ રૂ. 32.74 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
રૂ. 169.38 કરોડનાં ખર્ચે ડ્રેનેજ નાં કામો થશે. રૂ. 11.67 કરોડનાં ખર્ચે નવું પમ્પિંગ સ્ટેશન બનશે. રસ્તાઓના કામો માટે અંદાજે રૂ. 45 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે જુદાં જુદાં કામો કરોડોનાં ખર્ચે થશે. બે નવા ફાયર સ્ટેશન બનશે. અગાઉ જાહેર થયેલું વધુ એક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ રૂ. 21 કરોડનાં ખર્ચે તૈયાર થશે. આ ઉપરાંત લઘુ ઉધોગકારોને મિલ્કત વેરામાં રાહત, નવી લાયબ્રેરી, નવો ટાઉનહોલ, વનીકરણ વગેરે કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ત્રણ નવા વેરાઓ નગરજનો પાસેથી વસૂલવા સૂચન કરવામાં આવ્યું છે. જેમાં પર્યાવરણ ટેક્સ, ફાયર ચાર્જ અને સ્ટ્રીટ લાઈટ ચાર્જનો સમાવેશ થાય છે.
–ક્યાં કેટલો કરદર વધારો સૂચવવામાં આવ્યો
પ્રોપર્ટી ટેકસ રૂ. 32.00 કરોડ
વ્હીકલ ટેક્સ રૂ. 3.17 કરોડ
વોટર ચાર્જ રૂ. 6.00 કરોડ
સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ રૂ. 2.84 કરોડ
કન્ઝર્વન્સી એન્ડ સુઅરેજ ટેક્સ રૂ. 1.50 કરોડ
એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ/ ગ્રીનરી ચાર્જ રૂ. 0.78 કરોડ
ફાયર ચાર્જીસ રૂ. 0.78 કરોડ
સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જ રૂ. 5.66 કરોડ
અન્ય કર-દર રૂ. 0.27 કરોડ
કુલ રૂ. 53.00 કરોડ નો કરદર વધારો આજના બજેટમાં સૂચવવામાં આવ્યો છે હવે મનપાની સ્ટે.કમિટી કેટલો વધારો મંજુર કરે છે અને કેટલો રદ કરે છે તે આગામી સામાન્ય સભામાં જોવાનું રહેશે.