Mysamachar.in-જામનગર:
શહેર અને શહેર બહાર હાઈવે પર પણ રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ ક્યારેક કોઈ માનવીનો ભોગ લઇ લે છે, આવી વધુ એક ઘટના જામનગર રાજકોટ હાઈવે પર ફલ્લા ગામ નજીક સામે આવી છે, જેમાં પોતાના ટુ વ્હીલર પર જઈ રહેલ પ્રૌઢના વાહન આડે ખુંટીયો ઉતરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજયાનું જાહેર થયું છે.
આ અંગેની પોલીસ મથકે મૃતકના પુત્ર દ્વારા જાહેર કરાયેલ વિગતો એવી છે કે જામનગરમાં સુભાષ શાક માર્કેટ પાછળ ખાટકી વાડ વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ જુમાભાઈ મહુર નામના 55 વર્ષના પ્રૌઢ ગત તા 21 ના સવારે 11:00 વાગ્યાના અરસામાં પોતાનું સ્કૂટર લઈને જામનગર-રાજકોટ ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન ફલ્લા ગામના પાટિયા પાસે એકાએક ખૂંટિયો તેમના સ્કૂટરની આડે ઉતર્યો હતો, જેથી અબ્બાસભાઈ જે વાહનમાં જઈ રહ્યા હતા તે તેમનું વાહન સ્લીપ થઈ ગયું હતું, અને પોતે માર્ગ પર પટકાઈ પડ્યા હતા.
અકસ્માતમાં તેવોને મોઢાના ભાગે તેમજ માથાના ભાગે અને પાંસળીઓમાં ગંભીર ઇજાઓ પહોચતા તેમને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ગઈકાલે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર સબીરભાઈ પોલીસને જાણ કરતાં પંચકોશી એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.