Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લાનો જામજોધપુર પંથક વીજચોરી અને ખનિજચોરી મુદ્દે કુખ્યાત છે. તોતિંગ વીજચોરી દ્વારા એથી પણ મોટી ખનિજચોરી આ પંથકમાં થતી હતી જે જાહેર થવા છતાં જિલ્લાનાં ખાણખનિજ વિભાગે આ સ્થળે કોઈ જ કાર્યવાહી કે કામગીરીઓ કરી હોય, એવી જાહેરાત સતાવાર થઈ નથી ! જો કે વીજપોલીસે આ તોતિંગ વીજચોરીનું આખું કૌભાંડ છતું કરી દીધું છે અને વ્યાપક તપાસ કરી તમામ કૌભાંડીઓને ઉઘાડા કરી દીધાં છે. આ મોટી વીજચોરીને કારણે બહાર આવ્યું છે કે અહીં મોટી ખનિજચોરી થઈ છે.
સમગ્ર મામલો એ રીતે છે કે, જામજોધપુર તાલુકાનાં માલવડાનેસ પંથકમાં રાજકોટ વીજતંત્ર ત્રાટકયું હતું. જેણે જાહેર કરી દીધું કે, કાલાવડ તાલુકાનાં હરિપર મેવાસાનો થૈડાભાઈ નથુભાઈ વૈયશ નામનો શખ્સ માલવડાનેસ ખાતે મોટી વીજચોરી કરી રહ્યો છે અને લાઈમસ્ટોન નામનાં ખનિજનું(પથ્થરનાં બેલા) મોટાપાયે અને ગેરકાયદેસર ખનન કરી રહ્યો છે. આ વિગતો ગત જાન્યુુઆરી દરમિયાન જાહેર થઈ હતી.
ત્યારબાદ જામનગર વીજતંત્રને સાથે રાખી રાજકોટ વીજતંત્રએ આ શખ્સને રૂપિયા 54,81,332 નું વીજચોરીનું પૂરવણીબિલ આપ્યું હતું. આ સમયે જામજોધપુર વીજતંત્રના ઈસ્ટ સબ ડિવિઝનનાં નાયબ ઈજનેર શિરીષ પટેલએ વીજ પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ વીજચોરીની પોલીસ ફરિયાદ દાખલ કરાવી. ત્યારબાદ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ.જે.ઝાલાએ આ પ્રકરણની તપાસ હાથ ધરી. જેમાં ખૂલ્યું કે, એક વીજ ટ્રાન્સફોર્મર ચોરવામાં આવેલું અને તેનું ખરીદવેચાણ પણ થયેલું. જે ટ્રાન્સફોર્મર માલવડાનેસ ખાતે ગેરકાયદેસર રીતે લગાડી, વીજચોરી તથા ખનિજચોરી કરવામાં આવતી હતી !
આ ટ્રાન્સફોર્મર ઉપલેટાનાં ચંદ્રેશ છના વાંદાએ વેચેલું. જામજોધપુર તાલુકાના પરડવા ગામના ફૈઝાન ફિરોઝ જાખરાણી અને જામકંડોરણાના ઇકબાલ જમાલ કડીવાર નામના શખ્સોએ આ ટ્રાન્સફોર્મર માલવડાનેસ પહોંચાડયું. ટ્રાન્સફોર્મર કોન્ટ્રાક્ટર કામનો સુપરવાઈઝર (જેતપુર) નવનીત અરવિંદ રાબડીયા, પીજીવીસીએલનો ટ્રાન્સફોર્મર કોન્ટ્રાક્ટર (જેતપુર) પિયુષ વલ્લભ રામોલિયા આ કૌભાંડમાં સામેલ છે. આ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ તેઓને જામજોધપુરની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતાં. અદાલતે આ શખ્સોને જામીન પર મુક્ત કર્યા છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, આ પ્રકરણ અંગે વીજતંત્ર તથા ખાણખનિજ વિભાગ વચ્ચે જેતે સમયે પત્રવ્યવહાર થયેલો પરંતુ આ સ્થળ પર કેવડી ખનિજચોરી થઈ છે તેની વિગતો બહાર આવી નથી. અને ખાણખનિજ વિભાગ જયારે આવા કેસોમાં ખનિજચોરી પકડે છે ત્યારે અહીં થતી વીજચોરી અંગે વીજતંત્રને જાણ કરતાં નથી !